ચાલુ સપ્તાહમાં બજારમાં સુધારો આગળ વધશે
(શૅરબજારનું ચલકચલાણું)
ADVERTISEMENT
સરકારે શુક્રવારે મોડી સાંજે જે મહત્વના આર્થિક સુધારાની જાહેરાત કરી એને કારણે ચાલુ સપ્તાહમાં બજારમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળવાની આશા છે. આ ઉપરાંત આજે રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષા વધુ મજબૂત બની છે. જો આ અપેક્ષા પૂરી થશે તો બજારમાં મોટો ઉછાળો જોવા મળશે. બુધવારે ગણેશચતુર્થીને કારણે શૅરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે એટલે એવી પણ શક્યતા છે કે આજે અને આવતી કાલે એમ બન્ને દિવસ બજારમાં વૃદ્ધિ જોવા મળશે.
સેન્સેક્સ ચાલુ સપ્તાહમાં ૧૯,૦૦૦ પૉઇન્ટ્સના લેવલે પહોંચવાની અપેક્ષા પણ છે, કારણ કે અત્યાર સુધી બજારમાં માત્ર એફઆઇઆઇનું રોકાણ જ આવતું હતું, પરંતુ હવે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો તેમ જ રીટેલ ઇન્વેસ્ટરોની ખરીદી પણ વધવાની આશા છે. એને કારણે મોટા પાયે નાણાપ્રવાહને પગલે બજારનો સુધારો ઝડપી બની શકે છે.
નિફ્ટી ૫૬૮૮ પૉઇન્ટ્સ કુદાવશે તો ૫૭૫૫ પૉઇન્ટ્સના લેવલે પહોંચશે. સેન્સેક્સ ૧૮,૮૩૩ ક્રૉસ કરશે તો ૧૯,૦૨૨ના સ્તરે પહોંચી જશે.
આગલા સપ્તાહમાં બજારમાં જે વૃદ્ધિ થઈ અને આ સપ્તાહમાં સુધારાની જે અપેક્ષા છે એને કારણે પ્રૉફિટ બુકિંગની શક્યતા પણ છે. દરેક ઉછાળાએ નફારૂપી વેચવાલી આવવાની ગણતરી છે, કારણ કે જે ઇન્વેસ્ટરોએ અગાઉ ઊંચા ભાવે શૅર્સ ખરીદ્યા છે એ હવે વેચવા માટે તૈયાર થઈને બેઠા છે. બજાર સાથે સંકળાયેલાઓની પણ સલાહ છે કે વર્તમાન સુધારામાં આંશિક વેચાણ કરીને થોડો ઘણો નફો ઘરભેગો કરવો જોઈએ. હાલ પૂરતું રીટેલ રોકાણકારો નવી ખરીદી કરતાં વેચાણ પર વધુ ફોકસ કરશે એમ જણાય છે.