બીજી તરફ દેશના સામાન્ય નાગરિકો માટે એક રાહતના સમાચાર એ છે કે બૅન્કોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ધરાવતા ગ્રાહકોની બચત પર મળતા વ્યાજદરમાં હાલમાં કોઈ ઘટાડો થશે નહીં.
RBI
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ની મૉનેટરી પૉલિસી કમિટી (MPC)એ દેશના કરોડો લોનધારકો અને બચતકર્તાઓ માટે આર્થિક દૃષ્ટિએ એક અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો છે. ત્રણ દિવસ ચાલેલી આર્થિક સમીક્ષા બેઠકના અંતે ગવર્નર સંજય મલ્હોત્રાએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે મુખ્ય ધિરાણ દર એટલે કે રેપો રેટ ૫.૨૫ ટકાના સ્તરે યથાવત્ રાખવામાં આવ્યો છે. આ નિર્ણયનો સીધો અને સરળ અર્થ એ થાય છે કે હાલના તબક્કે તમારી હોમ લોન, વાહન લોન કે અન્ય ઇક્વેટેડ મન્થ્લી ઇન્સ્ટૉલમેન્ટ (EMI) સસ્તાં થશે નહીં.
કેન્દ્રીય બૅન્કના આ મહત્ત્વના નિર્ણય પાછળનું મુખ્ય કારણ વિશ્વસ્તરે ચાલી રહેલી તંગદિલી અને ક્રૂડ ઑઇલની અનિશ્ચિત કિંમતો છે. જો અત્યારે વ્યાજદરમાં ઘટાડો કરીને બજારમાં નાણાંનો પુરવઠો વધારવામાં આવે તો દેશમાં ફુગાવો તથા મોંઘવારી વધુ વણસી શકે તેમ છે. બીજી તરફ દેશના સામાન્ય નાગરિકો માટે એક રાહતના સમાચાર એ છે કે બૅન્કોમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) ધરાવતા ગ્રાહકોની બચત પર મળતા વ્યાજદરમાં હાલમાં કોઈ ઘટાડો થશે નહીં.
