ડે ઍન્ડ નાઇટ ટેસ્ટના અમલ માટે ગાંગુલી અને કોહલીની પીઠ થાબડી અઝહરુદ્દીને
મોહમ્મદ અઝહરુદ્દીન સાથે સૌરવ ગાંગુલી
ક્રિકેટ અસોસિએશન ઑફ બેન્ગાલ (સીએબી)ના તાજેતરમાં યોજાયલા એક પ્રસંગમાં ભૂતપૂર્વ ઇન્ડિયન કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજર રહ્યો હતો. આ ઇવેન્ટમાં અઝહરે સૌરવ ગાંગુલી અને વિરાટ કોહલીની પીઠ થાબડી હતી. વાસ્તવમાં આ બન્ને દિગ્ગજો ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચના વિચારને અમલમાં મૂકવા માટે સહમત થયા હતા. અઝહરુદ્દીન પણ આ વાતનો અમલ થાય એવી પ્રબળ ઇચ્છા રાખતો હોવાને લીધે તેણે આ બન્ને હસ્તીઓની પ્રશંસા કરી હતી. આ બાબતે વાત કરતાં અઝહરુદ્દીને કહ્યું હતું કે ‘દાદાએ કહ્યું એમ કૅપ્ટન આ વાતનો અમલ કરવા તૈયાર છે એ ઘણી સારી વાત છે. આનાથી તમને ખબર પડશે કે પબ્લિકને આ વાત ગમે છે કે નહીં? મારા મતે આનો અમલ થવો જોઈએ.’
આ પણ વાંચો : રાંચીને ધોનીની રિટર્ન ગિફ્ટ: હોમટાઉનમાં શરૂ કરી શકે છે ક્રિકેટ ઍકૅડેમી
ADVERTISEMENT
ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ બનેલા સૌરવ ગાંગુલીએ આ વિશે કહ્યું હતું કે ‘ડે ઍન્ડ નાઇટ ટેસ્ટ મૅચ રમવાની વાતને હું ટેકો આપું છું. કોહલી પણ આ વિશે સહમત છે. આ ગેમને નવી રીતે આગળ વધારવાની જરૂર છે. લોકો પોતાનું કામ ખતમ કરીને ચૅમ્પિયનોને રમતા જોવા સ્ટેડિયમમાં આવી શકે છે. મને નથી ખબર કે આનો શું પ્રતિસાદ મળશે, પણ હા, અમે આનો અમલ જરૂર કરીશું.’