ચેન્નઈમાં વિજયી શ્રીગણેશ કોના?
ચેન્નઈ: ભારત-ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની મિની સિરીઝની અને ૧૮ સપ્ટેમ્બરે શ્રીલંકામાં શરૂ થતા T20 વર્લ્ડ કપ પહેલાંની આજે છેલ્લી મૅચ (સ્ટાર ક્રિકેટ અને સ્ટાર ક્રિકેટ એચડી પર સાંજે ૭ વાગ્યે) ચેન્નઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાવાની છે. શનિવારે વિશાખાપટ્ટનમની પ્રથમ મૅચ વરસાદને કારણે ન રમાતાં કૅન્સરની બીમારી બાદ યુવરાજ સિંહને ફરી રમતો જોવાની લાખો લોકોની ઇચ્છા અધુરી રહી ગઈ હતી. બીજી તરફ ઇન્જરી અને નબળા ફૉર્મને કારણે ટીમમાંથી બહાર થયેલા હરભજન સિંહને પણ ટીમમાં ફરી મોકો મળ્યો છે અને તે પણ પાવર બતાવવા તલપાપડ છે. ઉપરાંત લોકલબૉય લક્ષ્મીપતિ બાલાજી પણ ઘરઆંગણે આજે જો રમવાનો મોકો મળે તો તરખાટ મચાવવા આતુર છે.
ADVERTISEMENT
વરસાદની આગાહી
આજે પણ ચેન્નઈમાં વરસાદની આગાહી છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સાંજે ઝાપટાં પડે છે એ જોતાં આજે પણ મૅચમાં વિઘ્ન આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચેન્નઈમાં પહેલી T20
ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં પહેલી વાર ઇન્ટરનૅશનલ T20 યોજાઈ રહી છે.
રોહિત શર્મા માટે પણ તક
યુવી અને ભજી ઉપરાંત રોહિત શર્મા પણ સિલેક્ટરો અને ટીમ-મૅનેજમેન્ટને ઇમ્પ્રેશ કરવા અને ફરી ટીમમાં સ્થાન મજબૂત કરવા રાહ જોઈને બેઠો છે. આજની મૅચ પણ તેને માટે કરો યા મરો જેવી છે.
ભારતની સંભવિત ટીમ : મહેન્દ્ર સિંહ ધોની, વીરેન્દર સેહવાગ, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, વિરાટ કોહલી, યુવરાજ સિંહ, રોહિત શર્મા, ઇરફાન પઠાણ, રવિચન્દ્રન અશ્વિન, ઝહીર ખાન અને અશોક ડિન્ડા.
એમ.એ. = મુથૈયા અન્નામલાઈ