Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મેઘરાજાએ ભારતને બચાવ્યું : ૧-૦થી થયો શ્રેણીવિજય

મેઘરાજાએ ભારતને બચાવ્યું : ૧-૦થી થયો શ્રેણીવિજય

23 November, 2022 03:07 PM IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૬૦ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી

હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસને વેલિંગ્ટનમાં ટી૨૦ સિરીઝની ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. ફાઇલ તસવીર એ.એફ.પી.

India vs New Zealand

હાર્દિક પંડ્યા અને કેન વિલિયમસને વેલિંગ્ટનમાં ટી૨૦ સિરીઝની ટ્રોફી સાથે પોઝ આપ્યો હતો. ફાઇલ તસવીર એ.એફ.પી.


ભારતે ગઈ કાલે નેપિયરમાં વરસાદનાં વિઘ્નોવાળી અને ડકવર્થ/લુઇસ મેથડના આધારે ટાઇમાં પરિણમેલી ત્રીજી અને આખરી ટી૨૦ના અંતે સિરીઝ ૧-૦થી જીતી લીધી હતી. ન્યુ ઝીલૅન્ડની ટીમ ૧૯.૪ ઓવરમાં ૧૬૦ રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર પછી ભારતનો સ્કોર ૯ ઓવરના અંતે ૪ વિકેટે ૭૫ રન હતો ત્યારે ફરી વરસાદ શરૂ થયો હતો અને વધુ રમત થઈ ન શકવાની હોવાથી લેવામાં આવેલા નિર્ણય મુજબ ડીએલએસ પાર-સ્કોર ૯ ઓવર બાદ ૭૫ હતો અને ભારતનો સ્કોર ત્યારે ૪/૭૫ હતો, એ જોતાં મૅચને ટાઇ જાહેર કરવામાં આવી હતી. ટી૨૦ ઇન્ટરનૅશનલ્સમાં મુખ્ય દેશો વચ્ચેની આ મુજબની પહેલી જ ટાઇ છે.

સિરીઝની પ્રથમ મૅચ વરસાદને લીધે ધોવાઈ ગઈ હતી અને બીજી મૅચ ભારતે સૂર્યકુમારના અણનમ ૧૧૧ રનની મદદથી જીતી લીધી હતી. ગઈ કાલે જો વરસાદ ન પડ્યો હોત તો ભારતે કદાચ પરાજય જોવો પડ્યો હોત, કારણ કે રમતના અંતે ભારતે ૧૧ ઓવરમાં ૮૫ રન બનાવવાના હતા અને એની ૬ વિકેટ બાકી હતી. ખાસ કરીને હાર્દિક-હૂડાની છેલ્લી આધારરૂપ જોડી રમી રહી હતી.



પાંચમી ટાઇ ટી૨૦ મૅચ


ડકવર્થ/લુઇસ પાર-સ્કોરને આધારે અગાઉ ટાઇ જાહેર કરાયેલી મૅચોની વિગત આ મુજબ છે : (૧) સાઉથ આફ્રિકા-શ્રીલંકા, ૨૦૦૩ વર્લ્ડ કપ (વન-ડે), (૨) ભારત-ઇંગ્લૅન્ડ, ૨૦૧૧, લૉર્ડ્સ (વન-ડે), (૩) સાઉથ આફ્રિકા-વેસ્ટ ઇન્ડીઝ, ૨૦૧૩ ચૅમ્પિયન્સ ટ્રોફી (વન-ડે) અને (૪) જિબ્રાલ્ટર-માલ્ટા, ૨૦૨૧ (ટી૨૦).

અર્શદીપ-સિરાજની ૪-૪ વિકેટ


ગઈ કાલે ન્યુ ઝીલૅન્ડે બૅટિંગ લઈને ખરાબ શરૂઆત કરી હતી. બીજી જ ઓવરમાં ફિન ઍલન અર્શદીપ સિંહનો શિકાર થયો હતો. કેન વિલિયમસન ન રમ્યો હોવાથી સાઉધીએ કૅપ્ટન્સી સંભાળી હતી. વિકેટકીપર કૉન્વે (૫૯ રન, ૪૯ બૉલ, બે સિક્સર, પાંચ ફોર)ના તેમ જ ગ્લેન ફિલિપ્સ (૫૪ રન, ૩૩ બૉલ, ત્રણ સિક્સર, પાંચ ફોર)નાં મોટાં યોગદાન છતાં કિવીઓની ટીમ ૧૬૦ રન જ બનાવી શકી હતી. મોહમ્મદ સિરાજ અને અર્શદીપે ચાર-ચાર વિકેટ લીધી હતી. એક વિકેટ હર્ષલને મળી હતી. ભુવી, ચહલ, હૂડા વિકેટ વિનાના રહ્યા હતા.

ભારતના વરસાદના વિઘ્ન પહેલાં ૯ ઓવરમાં ચાર વિકેટે ૭૫ રન હતા ત્યારે કૅપ્ટન હાર્દિક પંડ્યા (૩૦ અણનમ, ૧૮ બૉલ, એક સિક્સર, ત્રણ ફોર) અને દીપક હૂડા (૯ અણનમ, ૯ બૉલ) ક્રીઝ પર હતા. કિશન ૧૦ રન, પંત ૧૧ રન, સૂર્યકુમાર ૧૩ રન બનાવીને આઉટ થયા હતા. શ્રેયસ પોતાના પહેલા જ બૉલમાં વિકેટ ગુમાવી બેઠો હતો. સાઉધીએ બે તેમ જ સોઢી તથા મિલ્નએ એક-એક વિકેટ લીધી હતી.

મોહમ્મદ સિરાજને પ્લેયર ઑફ ધ મૅચનો અને સૂર્યકુમાર યાદવને પ્લેયર ઑફ ધ સિરીઝનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

3
હવે બન્ને દેશ વચ્ચે શુક્રવારથી આટલી મૅચની વન-ડે સિરીઝ રમાશે, જેમાં શિખર ધવન સુકાન સંભાળશે.

હું મારી રીતે જ ટીમનું સુકાન સંભાળીશ અને મારી રીતે જ રમીશ. જો કોઈ ખેલાડીને ન રમવા બદલ ખેદ થયો હોય તો મારી સાથે ચર્ચા કરી શકે છે. : હાર્દિક પંડ્યા

૨૦૨૪નો ટી૨૦ વર્લ્ડ કપ નવા ફૉર્મેટમાં

૨૦૨૪માં ટી૨૦નો જે આગામી વર્લ્ડ કપ રમાશે એમાં નવું ફૉર્મેટ અમલી બનશે. એમાં ૨૦ દેશોને પાંચ-પાંચ ટીમવાળાં ચાર ગ્રુપમાં વહેંચવામાં આવશે અને પ્રથમ રાઉન્ડ બાદ સુપર-8 સ્ટેજ રમાશે. દરેક ગ્રુપની ટોચની બે ટીમ સુપર-8 સ્ટેજમાં જશે અને એમને ચાર-ચાર ટીમનાં બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. એ બન્ને ગ્રુપની ટોચની બે-બે ટીમ સેમી ફાઇનલમાં જશે. ભારત અને પાકિસ્તાન સહિત કુલ ૧૨ દેશ એ વિશ્વકપ માટે ક્વૉલિફાય થઈ ગયા છે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2022 03:07 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK