હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓનું નૉમિનેશન રજિસ્ટર કરવા ૨૧ મહિના બાદ રજિસ
પ્રતીકાત્મક તસવીર
ફાઇટ ફૉર યૉર રાઇટ - ધીરજ રાંભિયા
મુંબઈના પશ્ચિમ પરામાં રહેતી એક જાંબાઝ મહિલાની લડતની આ અનુકરણીય કથા છે. લાભાર્થીની વિનંતીથી નામ જાહેર કર્યું નથી.
ADVERTISEMENT
લાભાર્થી ઉપનગરની કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં ફ્લૅટ ધરાવતાં હતાં અને ફ્લૅટના નૉમિનીનું નામ રજિસ્ટર કરાવવા ઇચ્છતાં હતાં, પરંતુ અગમ્ય કારણસર સોસાયટીના પદાધિકારીઓ એમાં સહકાર આપતા નહોતા.
કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના કાયદા મુજબ ફ્લૅટધારકે કાયદામાં જણાવેલાં નૉમિનેશન ફૉર્મ્સની ત્રણ કૉપીઓ (ઓરિજિનલ, ડુપ્લિકેટ અને ટ્રિપ્લિકેટ) પર માગેલી માહિતી ભરી ફ્લૅટધારકે સાક્ષીની હાજરીમાં સહી કરવાની હોય છે. સાક્ષીએ પણ એમાં જણાવેલા સ્થળે સહી કરવાની હોય છે. આમ કર્યા બાદ સોસાયટીના સેક્રેટરીને આ ત્રણે ફૉર્મ આપવાનાં રહે છે. સેક્રેટરી ઓરિજિનલ અને ડુપ્લિકેટ ફૉર્મ પોતાની પાસે રાખી તરત ટ્રિપ્લિકેટ ફૉર્મ પર સોસાયટીનો સ્ટૅમ્પ મારી સહી કરી ફ્લૅટધારકને પાછું આપવાનું રહે છે. ત્યાર બાદ મળનારી મૅનેજિંગ કમિટીના એજન્ડા પર આવેલાં નૉમિનેશન ફૉમ્સર્નીુ મંજૂરીનું કાર્ય મૂકવાનું રહે છે. મૅનેજિંગ કમિટીની સભા મંજૂર કર્યા બાદ ઓરિજિનલ અને ડુપ્લિકેટમાં મંજૂર થયેલી મૅનેજિંગ કમિટીની સભાની તારીખનો ઉલ્લેખ બન્ને ફૉર્મ પર કરી સોસાયટીના નૉમિનેશન રજિસ્ટરમાં એન્ટ્રી કરી એનો સિરિયલ-નંબર પણ ફૉર્મ પર લખીને ડુપ્લિકેટ ફૉર્મ પર સહી, સોસાયટીનો સ્ટૅમ્પ મારી સભ્યને પરત કરવાનું રહે છે, જ્યારે ઓરિજિનલ ફૉર્મ પર સિરિયલ-નંબર લખી સોસાયટીનો સ્ટૅમ્પ મારી સહી કરી સોસાયટીની રજિસ્ટર્ડ નૉમિનેશન ફાઇલમાં ફાઇલ કરવાનું રહે છે.
૨૦૧૬ની ૩ નવેમ્બરે લાભાર્થીએ સોસાયટીના સેક્રેટરીને નૉમિનેશનનું ફૉર્મ ટ્રિપ્લિકેટમાં ભરીને આપ્યું, જે કાં તો ફાઇલને અને કાં તો કચરાપેટીને હવાલે થયું હોવું જોઈએ. તપાસ કરતાં જાણ થઈ કે ૨૫ વર્ષ જૂની સોસાયટીમાં નૉમિનેશન રજિસ્ટર જ બનાવેલું નહોતું. લાભાર્થીની નૉમિનેશન રજિસ્ટર કરવાની વિનંતીઓ બહેરા કાને અથડાતી રહી.
શું કરવું એની અસમંજસમાં હતાં. વિચારોના ચકડોળે બેઠેલાં બહેનને અચાનક અજય પારેખ સાંભર્યા. અજયભાઈ તરુણ મિત્ર મંડળના જનાધિકાર અભિયાન સાથે ગાઢ રીતે સંકળાયેલા હોવાની જાણ
તેમને હતી તથા અભિયાનનાં લોકોપયોગી કાર્યોથી પણ સુપરિચિત હતાં. તેમણે અજયભાઈને પોતાની વિટંબણાની વાત કરી. અજયભાઈએ તેમને લડત માટે સ્વભાવ પ્રમાણે પ્રોત્સાહિત કયાર઼્.
લાભાર્થીએ અજયભાઈના માર્ગદર્શન હેઠળ કાગળ-કલમના સહારે લડત આપવાનું મનોમન નક્કી કર્યું.
૨૦૧૭ની ૮ માર્ચે મળેલા માર્ગદર્શન મુજબ લાભાર્થીએ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રારને ફરિયાદ કરતો વિગતવાર પત્ર લખ્યો. ‘આવ ભાઈ હરખા, આપણે બેઉ સરખા’ને રજિસ્ટ્રાર યથાર્થ ઠેરવતા હોય એમ તેમણે સોસાયટીના સેક્રેટરીની માફક કાં તો પત્રને કચરાપેટીને અને કાં તો ધૂળ જામેલી ફાઇલને હવાલે કરી દીધો હોવો જોઈએ.
વિટંબણાની વાતચીત વખતે સેવાભાવી અજયભાઈએ લોકશાહી દિન વિશે વિગતે સમજણ આપી હોવાથી વિવિધ સ્તરના ક્રમિક લોકશાહી દિન વિશેની સંપૂર્ણ જાણકારી અને સમજ હોવાથી ૨૦૧૭ની ૩૦ મેએ પ્રથમ સ્તરના તાલુકા લોકશાહી દિનમાં ભાગ લેવા થાણે તહસીલદાર કાર્યાલયમાં અરજી કરી. પરંતુ સકારાત્મક પરિણામ ન આવતાં ૨૦૧૭ની ૩૦ જૂને તથા ૨૦૧૭ની ૩ ઑક્ટોબરે રિમાન્ઇડર પત્રો મોકલાવ્યા, પરંતુ તહસીલદાર કાર્યાલયના નિષ્ક્રિય બાબુઓએ એના પર ન તો કોઈ કાર્યવાહી કરી કે ન તો પ્રત્યુત્તર મોકલાવ્યો.
આથી કંટાળીને ૨૦૧૭ની ૯ નવેમ્બરે દ્વિતીય સ્તરના એટલે જિલ્લા સ્તરના લોકશાહી દિનમાં ભાગ લેવા અરજી કરી. કમભાગ્યે એની સુનાવણીમાં ન તો કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર કે ન તો તેમના પ્રતિનિધિ હાજર રહ્યા. સરકારે યંત્રણા તો બનાવી, પરંતુ બહાનાબાજીનો દોર ચલાવી બાબુઓ યંત્રણાને કારગત થવા દેતા નહીં; કારણ કે જો આ યંત્રણાઓ કામિયાબ નીવડે તો કાય દ્યા અને ઘ્યાની તેમની પરંપરામાં ફાચર પડે અને ઉપરની આવક બંધ થઈ જાય.
૨૦૧૮ની પહેલી ફેબ્રુઆરીએ થાણા જિલ્લા અધિકારીએ લોકશાહી દિનમાં આવેલી પ્રલંબિત ફરિયાદોના નિવારણ અર્થે ફરિયાદીઓ તથા સરકારી અધિકારીઓની બેઠક બોલાવી, જેમાં હતાશ થયા વગર લાભાર્થી હાજર રહ્યા. પરંતુ ડેપ્યુટી રજિસ્ટ્રાર કે તેમના પ્રતિનિધિએ હાજર ન રહેવાની પરંપરા જાળવી. જાંબાઝ માહિલાબહેને તેમની વેદનાની વાત સવિસ્તર રજૂ કરી, જેની જિલ્લા અધિકારીએ ગંભીરતાથી નોંધ લીધી.
મહેનત ક્યારેય તદ્દન નિષ્ફળ નથી જતી. કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતીની પંક્તિઓને યથાર્થતા બક્ષતો બનાવ બન્યો. કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના નિષ્ક્રિય ડેપ્યુટી રજિસ્ટ્રારનો કાન આમળાયો હશે, આથી ૨૦૧૮ની ૩૧ જાન્યુઆરીના પત્ર દ્વારા લાભાર્થીને જણાવવામાં આવ્યું કે ૨૦૧૮ની ૮ ફેબ્રુઆરીએ હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓને આપની ફરિયાદ બાબતે સુનાવણી માટે બોલાવવામાં આવ્યા છે તો આપ ડેપ્યુટી રજિસ્ટ્રારની ચેમ્બરમાં સમયસર હાજર રહી આપની ફરિયાદ બાબતે રજૂઆત કરશો. અજય પારેખને આની જાણ કરતાં તેમણે ફરિયાદી બહેનને કઈ-કઈ બાબતો પર કેવી રીતે રજૂઆત કરવી એનું વિશદ માર્ગદર્શન આપ્યું.
સરકારી બાબુઓને સારા કહેવડાવનાર હાઉસિંગ સોસાયટીના નિષ્કિય પદાધિકારીઓએ સુનાવણીમાં આવવાની ન તો તસ્દી લીધી કે ન તો ફરિયાદી બહેનની ફરિયાદ દૂર કરવા કોઈ કાર્યવાહી કરી. ફરિયાદી બહેને તક ઝડપી લીધી અને ડેપ્યુટી રજિસ્ટ્રારને જણાવ્યું કે નામદાર સાહેબ, આ તો આપનું હડહડતું અપમાન છે, આવા નિષ્ક્રિય પદાધિકારીઓ પર આપ કડક પગલાં લો, સોસાયટીના સભ્યોનું આટલું નાનું કાર્ય જો તે ન કરતા હોય તો તેમના પર શિસ્તભંગનાં પગલાં લઈ દાખલો બેસાડો.
સુંદર રજૂઆતની ધારી અસર થઈ. ડેપ્યુટી રજિસ્ટ્રારે ૨૦૧૮ની ૧૭ ફેબ્રુઆરીએ સોસાયટીને તથા તેમના પદાધિકારીઓને ૧૫ દિવસમાં ફરિયાદી બહેનની નૉમિનેશનની અરજી પર જરૂરી કાર્યવાહી કરી નૉમિનેશનનું રજિસ્ટ્રેશન કરી નૉમિનેશનની અરજીની ડુપ્લિકેટ કૉપી પર સહીસિક્કા કરી આપશોનો સ્પષ્ટ આદેશ આપતો પત્ર મોકલાવ્યો. અંતે એની કૉપી ફરિયાદી બહેનને પણ મોકલાવી. હાઉસિંગ ડેપ્યુટી રજિસ્ટ્રાર તરફથી મળેલી લેખિત સૂચના સોસાયટીના પદાધિકારીઓ ઘોળીને પી ગયા અને કોઈ કાર્યવાહી ન કરી.
અંતે નાછૂટકે ૨૦૧૮ની ૨૭ એપ્રિલે અજયભાઈએ તૃતીય સ્તરની વિભાગીય આયુક્ત લોકશાહી દિન, જે નવી મુંબઈના કોંકણ ભવનમાં આયોજિત થાય છે એમાં ભાગ લેવા અરજી કરી.
૨૦૧૮ની ૯ જુલાઈએ વિભાગીય આયુક્ત સમક્ષની સુનાવણીમાં ફરિયાદી બહેને જોરદાર અને ધારદાર રજૂઆત અજયભાઈના માર્ગદર્શન મુજબ કરી. નામદાર તહસીલદાર અને કલેક્ટર સ્તરે યોજાતા લોકશાહી દિનની પ્રક્રિયામાં નાગરિકની ફરિયાદનો ઉકેલ ન આવતો હોય તો એનો અર્થ શો? આટલી નાની ફરિયાદ માટે આપશ્રી સુધી આવવું પડતું હોય તો નીચલા સ્તરના અધિકારીઓની નિષ્ક્રિયતા અને વિલંબવૃત્તિના કારણે અસંખ્ય માનવકલાકો, કાગળો, પત્રવ્યવહારો, પૈસા, શક્તિનો અક્ષમ્ય વ્યય થાય છે, એનો આપ નામદાર ઇલાજ કરી બેજવાબદાર અધિકારીઓ સામે શિસ્તભંગનાં કડક પગલાં લો એવી વિનંતી કરી.
જાંબાઝ મહિલાની ચોટદાર રજૂઆતની ધારી અસર થઈ. ડેપ્યુટી રજિસ્ટ્રારની ઊંઘ ઊડી અને હાઉસિંગ સોસાયટીના પદાધિકારીઓ પ્રત્યે કડક થયા. ફરિયાદના નિવારણ અર્થે તેમણે એક પ્રાધિકૃત અધિકારીની નિમણૂક કરી જેમણે સોસાયટીમાં આવી મીટિંગ લીધી. નૉમિનેશન રજિસ્ટ્રર બનાવડાવ્યું અને ૨૦૧૮ના ઑગસ્ટમાં નૉમિનેશન રજિસ્ટ્રેશન અરજીની સહીસિક્કા સાથેની ડુપ્લિકેટ કૉપી અપાવી.
કર્તવ્યનિષ્ઠ સેવાભાવી અજય પારેખની રાહબરી તથા માર્ગદર્શન હેઠળ જાંબાઝ બહેનની ૨૧ મહિનાની યાતનાનો સુખદ અંત આવ્યો અને અજય પારેખ લોકશાહી દિનની યથાર્થતા સ્થાપિત કરી આપણા સર્વેનાં અભિનંદનના અધિકારી બન્યા.

