મુંબઈમાં ધૂળની સમસ્યાને ઘટાડવા માટે બીએમસી રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરશે અને આના માટે એ ટૅન્કરો ખરીદશે
ગોરેગામમાં આરે કૉલોની ખાતે કન્સ્ટ્રક્શનના કામને કારણે જામેલી ધૂળ દેખાઈ રહી છે. બીએમસી આવા વિસ્તારોમાં ટૅન્કર સાથે કામગીરી હાથ ધરશે
મુંબઈ : બીએમસીએ શહેરના ચોક્કસ રસ્તાઓને સ્વચ્છ કરવા માટે પાણીનો છંટકાવ કરવાનો નિર્ણય કર્યો છે. શરૂઆતમાં સુધરાઈ મુંબઈના ૨૪ વહીવટી વૉર્ડમાંના દરેક વૉર્ડના બે માર્ગ પર કામ હાથ ધરશે. આ પહેલ ચોમાસા પછી શરૂ કરવામાં આવશે.
૨૦૨૩-’૨૪ની સુધરાઈની બજેટ-સ્પીચમાં મ્યુનિસિપલ કમિશનર આઇ. એસ, ચહલે જણાવ્યું હતું કે ‘શહેરના પ્રદૂષણના સ્તરમાં રસ્તા પરની ધૂળનું યોગદાન બમણા કરતાં પણ વધી ગયું છે. સુધરાઈએ માર્ગો અને ફુટપાથ પરથી ઊડતી ધૂળને અટકાવવા પાણી છાંટવાનું નક્કી કર્યું છે.’
ADVERTISEMENT
આ પગલાનો અમલ કરનારા સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે દરેક વૉર્ડ માટે બે ટૅન્કર ખરીદીશું. પ્રથમ તબક્કામાં અમે ઓછામાં ઓછા બે માર્ગ સાફ કરવા પર ધ્યાન આપીશું. અમે જ્યાં કન્સ્ટ્રક્શન ચાલતું હોય અને જે રસ્તા પર ભારે ટ્રાફિક રહેતો હોય એવા વિસ્તારોની પસંદગી કરીશું. બજેટનો અમલ એપ્રિલથી થવાનો હોવાથી ટૅન્કર્સ ખરીદવાની બિડ્સ એપ્રિલ ૨૦૨૩ પછી મગાવવામાં આવશે.’
૪૮ ટેન્કર ખરીદવા માટે દસ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચ થઈ શકે છે અને આ કામનો અંદાજ ટૂંક સમયમાં હાથ ધરાશે એમ એક અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
આ અગાઉ ડિસેમ્બર ૨૦૨૨ની જી-૨૦ સમિટ દરમિયાન સુધરાઈએ કેટલાક રસ્તા ધોયા હતા. ભૂતકાળમાં જ્યારે બળદગાડાં અને ઘોડાગાડીઓ પરિવહનનું મુખ્ય સાધન હતાં એ સમયે મુંબઈ સુધરાઈ નિયમિતપણે રસ્તાની સફાઈ કરતી હતી. અધિકારીએ વધુમાં કહ્યું હતું કે ‘એ સમયે પશુઓના છાણને લીધે આમ કરવું જરૂરી હતું, પણ પછીથી એ પદ્ધતિ બંધ થઈ ગઈ. અમે પીવાલાયક પાણી નહીં વાપરીએ, ટ્રીટમેન્ટ કરેલું પાણી વાપરીશું. શહેરભરનાં વિવિધ સ્થળોએ સાત સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલા હોવાથી પરિવહનની સમસ્યા નહીં નડે.’