ભારતીયોની ટ્રાફિક અને સિવિક-સેન્સ વિશે હાઈ કોર્ટે ટકોર કરીને કહ્યું...
બૉમ્બે હાઈ કોર્ટ
વડીલોએ પોતે જ સિગ્નલ તોડીને બાળકો સામે ખોટું ઉદાહરણ પૂરું પાડવાનું બંધ કરવું જોઈએ એવું અદાલતનું સૂચન
બૉમ્બે હાઈ કોર્ટે તાજેતરમાં અકસ્માતમાં વળતરના એક કેસની સુનાવણી દરમ્યાન ભારતીય નાગરિકોની શિસ્ત વિશે અત્યંત કડક અને માર્મિક ટિપ્પણી કરી હતી. અદાલતે ભારપૂર્વક કહ્યું હતું કે ‘ભારતીયોમાં ટ્રાફિક-શિસ્તનો અભાવ હવે ચિંતાનો વિષય બન્યો છે. હવે સમય પાકી ગયો છે કે ભારતીયો પણ વિકસિત દેશોના નાગરિકોની જેમ સ્વયંભૂ શિસ્ત કેળવે અને ટ્રાફિકના નિયમોનું ગંભીરતાથી પાલન કરે.’
ADVERTISEMENT
અદાલતે અવલોકન કર્યું હતું કે ‘ભારતીય નાગરિકો જ્યારે વિદેશ જાય છે ત્યારે ત્યાંના ટ્રાફિક-નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે, પરંતુ સ્વદેશ પાછા ફરતાં જ એ શિસ્ત ગાયબ થઈ જાય છે. ભારતીયોમાં જોવા મળતું આ બેવડું વલણ અસ્વીકાર્ય છે અને એનો કોઈ પણ પ્રકારે બચાવ થઈ શકે નહીં.’
અદાલતે ટાંક્યું હતું કે શિસ્ત ભયથી નહીં પણ જવાબદારીથી આવવી જોઈએ. ટ્રાફિક-શિસ્તના મુદ્દે વાલીઓને આડે હાથ લેતાં કોર્ટે જણાવ્યું હતું કે ‘વડીલો પોતે જ સિગ્નલ તોડીને કે નિયમોનું ઉલ્લંઘન કરીને બાળકો સામે ખોટું ઉદાહરણ પૂરું પાડે છે. જો આપણે નવી પેઢીને શિસ્તબદ્ધ બનાવવી હોય તો વાલીઓએ પોતે આદર્શ બનીને બાળકોને ટ્રાફિક-શિસ્તના પાઠ ભણાવવા જોઈએ.’
રસ્તો ઓળંગતી વખતે રાહદારીઓની પણ જવાબદારી
બેફામ દોડતા અને સિગ્નલ તોડતા ટૂ-વ્હીલરના ડ્રાઇવરો સામે ટ્રાફિક-પોલીસે વધુ કડક હાથે કામ લેવાની જરૂર પર પણ કોર્ટે ભાર મૂક્યો હતો. આ આકરી ટિપ્પણી ૨૦૧૨માં થાણેમાં બનેલી એક દુર્ઘટનાના સંદર્ભમાં કરવામાં આવી હતી. થાણેમાં બસની અડફેટે એક બીમાર વૃદ્ધનું કરુણ મૃત્યુ થયું હતું. આ કેસમાં હાઈ કોર્ટે માનવીય અભિગમ દાખવીને વૃદ્ધના પરિવારને અપાતા વળતરની રકમ ૧૩ લાખથી વધારીને ૧૫ લાખ રૂપિયા કરી છે. જોકે ચુકાદામાં અદાલતે સ્પષ્ટ કર્યું હતું કે ‘રસ્તો ઓળંગતી વખતે માત્ર ડ્રાઇવરની જ નહીં, રાહદારીઓની પણ એટલી જ જવાબદારી છે કે તેઓ સિગ્નલ અને નિયમોનું ધ્યાન રાખે. સાથોસાથ ડ્રાઇવરોએ પણ રસ્તા પરની વ્યક્તિની શારીરિક સ્થિતિ અને સંજોગો જોઈને વાહન પર કાબૂ રાખવો જોઈએ જેથી આવી હોનારતો નિવારી શકાય.’
