સ્મેથવિકમાં હિન્દુ મંદિર પર ૨૦૦ મુસલમાનોનો હુમલો, અલ્લાહુ અકબરના નારા લગાવ્યા, બૉટલો ફેંકી અને બ્રિટનનાં તમામ મંદિરો પર હુમલાની ધમકી આપી

બ્રિટનના સ્મેથવિકમાં મંગળવારે એક હિન્દુ મંદિરની પાસે એકત્ર થયેલું ટોળું
બ્રિટનના લેસ્ટરમાં મુસલમાનોના એક ટોળાએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ મચાવ્યાના દિવસો બાદ હવે સ્મેથવિકમાં મંગળવારે એક હિન્દુ મંદિર પર લગભગ ૨૦૦ મુસલમાનોએ હુમલો કર્યો હતો. તેઓ અલ્લાહુ અકબરના નારા લગાવતા હતા.
આ દુર્ગા ભવન મંદિરની બહાર વિરોધ-પ્રદર્શન હિંસક હતું. હિન્દુ મંદિરના પ્રિમાઇસિસમાં બૉટલો ફેંકવામાં આવી હતી. પ્રદર્શનકર્તાઓએ મંદિરના અધિકારીઓની સાથે ગાળાગાળી કરી હતી અને ધમકીઓ પણ આપી હતી. આ પ્રદર્શનકર્તાઓએ એમ પણ જણાવ્યું હતું કે યુકેનાં તમામ મંદિરોમાં આ પ્રકારનો જ વિરોધ-પ્રદર્શન કરવામાં આવશે.
ADVERTISEMENT
કેટલાંક સૂત્રો અનુસાર આ દુર્ગા ભવન હિન્દુ સેન્ટર મંદિરમાં સાધ્વી ઋતુંભરા પ્રવચન આપવાનાં હતાં, પરંતુ તેમની તબિયત ખરાબ થવાના કારણે એ કાર્યક્રમ રદ થયો હતો.
ટ્વિટર પર એક પોસ્ટ અનુસાર આ પ્રકારના વિરોધ-પ્રદર્શનથી સ્થાનિક હિન્દુઓ ભયભીત અને ડરી ગયા છે. આ પોસ્ટમાં જણાવાયું કે, ‘પહેલાં લેસ્ટર અને હવે સ્મેથવિક, હવે પછી? લગભગ ૨૦૦ લોકો દુર્ગા ભવન હિન્દુ સેન્ટર તરફ કૂચ કરી રહ્યા હતા. એનાથી ચોક્કસ જ સ્થાનિક હિન્દુઓ ડરી અને ભયભીત થયા છે. સુરક્ષા દળોએ હિન્દુ વિરોધી લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ.’
કેટલાક પ્રદર્શનકર્તાઓ આ સેન્ટરની દીવાલ પર ચઢી ગયા હતા અને અશ્લીલ ઇશારા કરતા હતા. બર્મિંગહેમ વર્લ્ડના એક રિપોર્ટ અનુસાર અપના મુસ્લિમ નામના એક સોશ્યલ મીડિયા અકાઉન્ટે મંગળવારે દુર્ગા ભવન મંદિરની બહાર શાંતિપૂર્ણ પ્રદર્શન માટે આહ્વાન આપ્યું હતું.
૨૮ ઑગસ્ટે એશિયા કપની મૅચમાં ભારત દ્વારા પાકિસ્તાનના પરાજયના પગલે લેસ્ટર સિટીમાં હિંસા ફાટી નીકળી હતી. મુસલમાનો, મુખ્યત્વે પાકિસ્તાની નાગરિકોએ એ એરિયામાં હિન્દુઓ અને તેમનાં ઘરો પર હુમલા કર્યા હતા.

