પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાને ધમકી આપી હતી કે જો તેમની ફરી ધરપકડ કરવામાં આવશે તો સમગ્ર દેશમાં તોફાનો ફાટી નીકળશે, એના કલાકો પછી તેમને રાહત આપવામાં આવી
ગઈ કાલે સુનાવણી માટે ઇસ્લામાબાદ હાઈ કોર્ટમાં આવેલા ઇમરાન ખાન
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને ગઈ કાલે ટેમ્પરરી રાહત મળી હતી. ઇસ્લામાબાદ હાઈ કોર્ટની સ્પેશ્યલ બેન્ચે કરપ્શનના એક કેસમાં તેમના જામીન મંજૂર કર્યા હતા. મંગળવારે ઇસ્લામાબાદ હાઈ કોર્ટના પ્રિમાઇસિસમાંથી ઇમરાનની ધરપકડને સુપ્રીમ કોર્ટે ગેરકાયદે ગણાવ્યાને એક દિવસ બાદ અલ-કાદીર ટ્રસ્ટ ભ્રષ્ટાચારના કેસમાં જસ્ટિસ મિયાનગુલ હસન ઔરંગઝેબ અને જસ્ટિસ સમન રાફત ઇમ્તિયાઝે સુનાવણી કરી હતી. વાસ્તવમાં ઇમરાને ધમકી આપી હતી કે જો તેમની ફરી ધરપકડ કરવામાં આવશે તો સમગ્ર દેશમાં તોફાનો ફાટી નીકળશે. આ ધમકીના કલાકો બાદ તેમને બે અઠવાડિયાંના જામીન આપવામાં આવ્યા હતા.
આ જામીન આપ્યા બાદ ઇસ્લામાબાદ હાઈ કોર્ટે ગઈ કાલે પોતાના ચુકાદામાં ઑથોરિટીઝને નવમી મે પછીના કોઈ પણ નવા કેસમાં બુધવાર સુધી પાકિસ્તાન તેહરીક-એ-ઇન્સાફના ચૅરમૅનની ધરપકડ ન કરવાનો આદેશ આપ્યો છે.
ADVERTISEMENT
ઇમરાનની જામીન અરજી પર સુનાવણી કરવા માટે ઇસ્લામાબાદ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આમેર ફારુક દ્વારા સ્પેશ્યલ ડિવિઝન બેન્ચની રચના કરવામાં આવી હતી.
ઇમરાન ગઈ કાલે સનગ્લાસિસની સ્ટાઇલિશ પૅર, ક્રિસ્પ લાઇટ બ્લુ સલવાર કમીઝ અને ડાર્ક બ્લુ વેઇસ્ટકોટમાં સેલિબ્રિટીની જેમ કોર્ટમાં આવ્યા હતા.
સુનાવણીની શરૂઆતમાં ઇમરાનની તરફેણમાં લૉયર્સે સૂત્રોચ્ચાર કરતાં બેન્ચના જજિઝે નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી એક કલાકના વિલંબ બાદ શરૂ થઈ હતી.
પાકિસ્તાનમાં ઇમર્જન્સી લાદવામાં આવી શકે છે
પાકિસ્તાન તોડફોડ અને તોફાનોના પ્રદેશનો પર્યાય બની ગયું છે ત્યારે આ દેશના સંરક્ષણપ્રધાન ખ્વાજા આસિફે જણાવ્યું હતું કે જો પાકિસ્તાનમાં અત્યારની સ્થિતિ જળવાઈ રહેશે તો ઇમર્જન્સી જાહેર કરવામાં આવે એવી શક્યતા છે. પાકિસ્તાનમાં ઇમર્જન્સીની સ્થિતિની અફવાઓ વિશે પૂછવામાં આવતાં આ પ્રધાને કહ્યું હતું કે ‘જો સ્થિતિ આવી જ રહી તો પછી ઇમર્જન્સી એ બંધારણીય ઑપ્શન છે. પાકિસ્તાનમાં લશ્કરી શાસનની શક્યતા નથી.’ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનને મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા વિશે પૂછવામાં આવતાં આ પ્રધાને કહ્યું હતું કે ‘શા માટે આ દેશમાં બે માપદંડો છે? અદાલતે આર્મીના હેડ ક્વૉર્ટર્સ અને અન્ય સંસ્થાનો પર થયેલા હુમલા બાબતને જાતે ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવાની જરૂર હતી, પરંતુ એમ થયું નથી. નવાઝ શરીફ, ઝરદારી, મરયમ અને મારા સહિત કોઈને કોઈ પણ પ્રકારની સુવિધા મળી નથી. અહીં સુપ્રીમ કોર્ટે ઇમરાનને તમામ પ્રકારની ફૅસિલિટીઝ આપી છે.’