બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે બન્ને દેશો વચ્ચે ઘણા અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, ૫ ઑગસ્ટે નવી દિલ્હીમાં શેખ હસીનાની ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ બાદ પ્રક્રિયામાં ગંભીર ગૂંચવણો ઊભી થઈ છે.
બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તારિક રહેમાન
દિલ્હીમાં ૫ ઑગસ્ટે બાંગ્લાદેશના પૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સ બાદ બાંગ્લાદેશના નવા વડા પ્રધાન તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે અનિશ્ચિતતા વધી છે. બાંગ્લાદેશે જણાવ્યું છે કે રહેમાનની મુલાકાત ભારત દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાને પ્રત્યાર્પણ કરવા પર આધારિત છે. ઢાકાએ દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો અને વડા પ્રધાનની મુલાકાત માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની હાકલ કરી છે. બાંગ્લાદેશે ભારતને આ દિશામાં ટૂંક સમયમાં નક્કર પગલાં લેવા પણ વિનંતી કરી છે.
પ્રેસ કોન્ફરન્સ પછી ચર્ચાઓમાં ગૂંચવણો ઊભી થઈ
ADVERTISEMENT
બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે બન્ને દેશો વચ્ચે ઘણા અઠવાડિયાથી ચર્ચા ચાલી રહી હતી. જોકે, ૫ ઑગસ્ટે નવી દિલ્હીમાં શેખ હસીનાની ખુલ્લી પ્રેસ કોન્ફરન્સ બાદ પ્રક્રિયામાં ગંભીર ગૂંચવણો ઊભી થઈ છે. બાંગ્લાદેશે જણાવ્યું હતું કે તેને ભારતીય ભૂમિ પરથી શેખ હસીના દ્વારા આપવામાં આવેલા નિવેદનને અસ્વીકાર્ય લાગે છે. મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ દ્વારા માનવતા વિરુદ્ધના ગુનાઓ માટે શેખ હસીનાને દોષિત ઠેરવવાનો પણ ઉલ્લેખ કર્યો છે. ઢાકાએ જણાવ્યું હતું કે, "માનવતા વિરુદ્ધના ગુનાઓમાં દોષિત ઠરેલી શેખ હસીનાનું પ્રત્યાર્પણ અને અન્ય વોન્ટેડ ગુનેગારોને બાંગ્લાદેશને સોંપવા પર જ સૌહાર્દપૂર્ણ સંબંધો અને વડા પ્રધાન સ્તરની મુલાકાત શક્ય છે."
શેખ હસીના અને અન્ય આરોપીઓના પ્રત્યાર્પણની માગ
બાંગ્લાદેશે દ્વિપક્ષીય પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારતમાંથી શેખ હસીના અને અન્ય ભાગેડુ ગુનેગારોના ઝડપી પ્રત્યાર્પણની માગ કરી છે. વધુમાં, શરીફ ઉસ્માન હાદીની હત્યામાં સામેલ આરોપીઓને બાંગ્લાદેશી અધિકારીઓને સોંપવાની માગ કરવામાં આવી છે. બાંગ્લાદેશી સરકારે જણાવ્યું છે કે તે આ માગણીઓ અંગે નવી દિલ્હી તરફથી ઔપચારિક પ્રતિભાવની રાહ જોઈ રહ્યું છે.
ભારતે પહેલાથી જ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું
દિલ્હીમાં શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સ અંગે ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારત સરકારે જણાવ્યું છે કે બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન અને બાંગ્લાદેશી અધિકારીઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં તેની કોઈ સંડોવણી નથી. હવે, બાંગ્લાદેશની આ માગણીઓ વચ્ચે, તારિક રહેમાનની ભારત મુલાકાત અંગે બન્ને દેશો વચ્ચે વધુ ચર્ચાઓ મહત્ત્વપૂર્ણ બની છે.
બંગલાદેશના રાષ્ટ્રપતિએ શેખ હસીના સાથે વાત કરવાના ચક્કરમાં રાજીનામું આપવું પડ્યું
બંગલાદેશના રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભારત સ્થિત ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સાથે કથિત રીતે ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ સામે આવ્યા બાદ ઊભા થયેલા રાજકીય વિવાદ વચ્ચે તેમણે આ આકરો નિર્ણય લીધો હતો. મે ૨૦૨૬માં લંડનમાં સારવાર દરમ્યાન રાષ્ટ્રપતિ શહાબુદ્દીને શેખ હસીના સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. વર્તમાન શાસક પક્ષ બંગલાદેશ નૅશનલિસ્ટ પાર્ટી (BNP)એ એને ગુપ્ત સાઠગાંઠ ગણાવીને રાષ્ટ્રપતિપદ છોડવા માટે ભારે દબાણ બનાવ્યું હતું.
