હરેન પંડ્યા હત્યાકેસ: દોષિતો જેલમાં, અસગર અલીને ગુજરાત લવાશે
હરેન પંડ્યા
ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન હરેન પંડ્યાના હત્યાકેસ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈ કોર્ટનો ચુકાદો પલટાવી ૧૨ને દોષિત ઠેરવ્યા હતા જેમાંથી ત્રણે સજા ભોગવી લીધી છે, જ્યારે ૮ને આજીવન કેદની અને એક દોષીએ જીવે ત્યાં સુધી કારાવાસની સજા ભોગવવાની છે જેને પગલે સીબીઆઇએ અમદાવાદની સ્પેશ્યલ કોર્ટમાંથી ૯ દોષિતો સામે વૉરન્ટ મેળવવા માટે અરજી કરી હતી જેને કોર્ટે મંજૂર કરી નવ દોષિત સામે વૉરન્ટ ઇશ્યુ કર્યા હતાં. ત્યાર બાદ ૯માંથી ૮ દોષિતો કોર્ટમાં હાજર થયા હતા, જ્યારે એક દોષિત અસગર અલી હાલ હૈદરાબાદની જેલમાં છે જેને હવે ગુજરાત લાવવામાં આવશે.
આ પહેલાં ૮ દોષિતોએ શરણાગતિ માટે પારિવારિક કામ હોવાનું કારણ દર્શાવી એક અઠવાડિયાનો સમય માગ્યો હતો, પરંતુ કોર્ટે દોષિતોની માગણી ફગાવી જેલભેગા કર્યા છે. સુપ્રીમ કોર્ટે કલીમ એહમદ કરીમી, અનિસ માચિસવાલા, મહમ્મદ યુનુસ સરેશવાલા, રેહાન પૂંઠાવાલા, મહમ્મદ રિયાઝ, મહમ્મદ પરવેઝ શેખ, પરવેઝ ખાન પઠાણ સિદ્દીકી અને મહમ્મદ ફારૂક ઉસ્માનગનીને આજીવન કારાવાસની તથા મહમ્મદ અસગર અલીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : સુરત આગ કેસમાં 11 આરોપી સામે ચાર્જશીટ દાખલ, 3 આરોપી ફરાર
પોટા કોર્ટના જજ સોનિયાબહેન ગોકાણીએ સાક્ષી અનિલ યાદવરામની જુબાની તથા હત્યાનાં હથિયાર, કૉલ ડિટેલ્સ અને હૈદરાબાદના અસગર અલીની અમદાવાદમાં હાજરી સહિતની બાબતોને આધારે ૧૨ આરોપીઓને દોષી ઠેરવીને સજા આપી હતી.