ભારતમાં ઘરેલુ વાયુપ્રદૂષણથી સૌથી વધુ મોત થાય છે : રિપોર્ટ
વાયુપ્રદૂષણ
મોદી સરકારની ઉજ્જ્વલા યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા ૮ કરોડ લોકોને ફ્રીમાં એલપીજી કનેક્શન આપવામાં આવ્યાં અને જેનો યશ મોદી સરકાર મેળવી રહી છે, પરંતુ હાલના એક રિપોર્ટમાં જે ખુલાસો થયો છે એ ચોંકાવનારો છે. વિશ્વ પર્યાવરણ દિવસે કોલૅબરેટિવ ક્લીન ઍર પૉલિસી સેન્ટર દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પ્રમાણે ભારતમાં પ્રદૂષણના કારણે થનારા મોતમાં સૌથી વધુ મોત ઘરેલુ વાયુપ્રદૂષણથી થઈ રહ્યાં છે.
ઘરેલુ વાયુપ્રદૂષણ મુખ્યપણે ઘરમાં ભોજન બનાવતી વખતે ફેલાય છે, ઘરના ચૂલામાં લાકડી, સુકાયેલાં પાંદડાં અને છાણાં જેવી વસ્તુઓને સળગાવીને ભોજન બનાવવામાં આવે ત્યારે ઘરેલુ વાયુપ્રદૂષણ ફેલાય છે. રિપોર્ટ પ્રમાણે સમગ્ર દેશમાં કુલ ૧૬ કરોડ ઘરોમાં આજે પણ આવી વસ્તુઓનો ઉપયોગ કરીને ભોજન બનાવે છે. આ તથ્યને વસ્તીના આધારે જોવામાં આવે તો કુલ ૫૮ કરોડ લોકો આજે પણ સૂકાં પાંદડાં, છાણાં અને લાકડાંનો ïઈંધણ તરીકે ઉપયોગ કરે છે જેના કારણે ઘરેલુ વાયુપ્રદૂષણ થઈ રહ્યું છે. ઉજ્જ્વલા યોજનાની આટલી સફળતા છતાં ઘરેલુ પ્રદૂષણથી સૌથી વધારે લોકો મરી રહ્યાં છે અને ખાસ કરીને એનો શિકાર સૌથી વધારે મહિલાઓ થઈ રહી છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઈદમાં હિંસા, મહિલાની ગોળી મારી હત્યા, આઇએસઆઇએસના ઝંડા લહેરાયા
કૅલિફોર્નિયા યુનિવર્સિટી, કોરનેલ યુનિવર્સિટી, મોક, પ્લેક ઇન્સ્ટિટ્યૂટ ઑફ જર્મની અને દિલ્હીના શોધકર્તાઓએ ગ્રામીણ વિસ્તારોમાં શોધ કર્યા બાદ રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટ પ્રમાણે દર વર્ષે ૧૧ લાખ ભારતીયોનાં મોત વાયપ્રદૂષણને કારણે થાય છે જેમાં ૮ લાખ લોકોનાં મોત માત્ર ઘરેલુ વાયુપ્રદૂષણને કારણે થાય છે. વાયુપ્રદૂષણમાં એનો ફાળો લગભગ બાવન ટકા છે.