વિભીષણે પણ મરવું પડ્યું હતું
બાતમીદાર રામાયણકાળથી જ મૃત્યુ પામતો આવ્યો છે, વિભીષણે પણ મરવું જ પડ્યું હતું. આ વાત બીજા કોઈએ નહીં, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સત્યપાલ સિંહે કરી છે.
સેશન્સ કોર્ટની બહાર કાલા ઘોડા ચાર રસ્તા પર અમજદ અને હુમાયુંની ધોળા દિવસે હત્યા થઈ, ત્યાર બાદ સત્યપાલ સિંહે પત્રકારોને આ વાત જણાવી હતી.
ADVERTISEMENT
બન્નેની ઘણી બેરહેમીપૂર્વક હત્યા થઈ હતી. હત્યાની તમામ તસવીરો પણ અખબારોમાં પ્રસિદ્ધ થઈ. આવી તસવીરો લોકોએ ભાગ્યે જ છાપાંઓમાં જોઈ હતી. આ હત્યાકાંડથી મુંબઈ સહિત સમગ્ર દેશમાં આતંકની લહેર છવાઈ ગઈ હતી.
જેએનપીટી પર છોટા રાજન ગૅન્ગનાં શસ્ત્રો જપ્ત કરવાના મામલામાં આ બન્નેએ બાતમી આપી હોવાની રાજનને શંકા હતી.
કેટલાક બાતમીદારો જણાવે છે કે અમજદે બાતમી આપી એને કારણે જ હથિયારો કબજે થઈ શક્યાં હતાં. લોકોને એ ખબર ન પડી કે આ નિવેદન દ્વારા સત્યપાલ સિંહ શું સાબિત કરવા માગે છે?
એ તો ખબર નથી કે તેઓ બાતમીદારોને શું એ સંદેશ આપી રહ્યા હતા કે બાતમીદારોના નસીબમાં મોત જ લખ્યું છે. તેઓ બાતમી આપશે તો અંતમાં તેમણે મોત જ વહાલું કરવું પડશે કે પછી તેઓ આ સ્થિતિ વિશે દુઃખની લાગણી પ્રગટ કરી રહ્યા હતા કે ગુપ્ત માહિતી લાવીને સમાજ અને દેશની રક્ષા કરનારા બાતમીદારોને આપણે બચાવી નથી શકતા.
મારી સામે બેસીને વાત જણાવી રહેલો શખસ બાતમીદાર છે. તે એટલી હદે દુખી છે કે લગભગ રડી પડ્યો.
આંખોની કિનારી પર હળવેકથી સરકી આવેલાં આંસુનાં ટીપાંમાં ઊમટી રહેલું દર્દ કશું કહ્યા વિના પણ ઘણુંબધું જણાવી ગયું.
એક નિઃસાસો નાખીને તે બોલ્યોઃ
અમે સૌથી મોટું કામ કરીએ છીએ સર, પણ અમારી કોઈ ઇજ્જત નથી. પોલીસ અમને ક્રિમિનલ કહીને મારે છે. અમારા પર કેસ પણ કરે છે. હવે તમે જ કહો સર, કોઈ શું કામ આમનું કામ કરે?