હૉરર-ક્રાઇમ સિરીઝમાં પોલીસ ઑફિસર બનીને ખુશ છે વિવાના સિંહ
વિવાના સિંહ
ટીવી ઍક્ટર વિવાના સિંહ ક્રાઇમ-થ્રિલર વેબ-સિરીઝ ‘મનોહર કહાનિયાં’માં પોલીસ-ઑફિસર બનીને ખુશ છે. આ શોમાં તેની સાથે મનીષ ગોપલાની જર્નલિસ્ટ રુદ્ર શંકરની ભૂમિકામાં જોવા મળશે. શોમાં દેખાડવામાં આવશે કે ન્યુઝ પેપર દસ્તક જાગરણનો જર્નલિસ્ટ રુદ્ર શંકર પેપરનું વેચાણ વધારવા માટે કાલ્પનિક સ્ટોરીઝ લખવાનું શરૂ કરે છે. જોકે અચાનક જ એ સ્ટોરીઝ વાસ્તવિકતાનું રૂપ લેવા લાગે છે. સ્ટોરીઝમાં જણાવ્યા પ્રમાણે જ લોકોની હત્યા થાય છે અને પોલીસ-ઑફિસર અશ્વિનીનું પાત્ર ભજવનાર વિવાના રુદ્રની ધરપકડ કરે છે. આમ છતાં હત્યાનો દોર અટકવાનું નામ નથી લેતો. પોતાના પાત્ર વિશે જણાવતાં વિવાનાએ કહ્યું હતું કે ‘પોલીસ-ઑફિસરનું પાત્ર ભજવવાની ખૂબ મજા આવી. હું પોલીસ-ઑફિસરની દીકરી છું અને એથી પોલીસ-ઑફિસરની છત્રછાયામાં મારો ઉછેર થયો હોવાથી બૉડી-લૅન્ગ્વેજ મારામાં કુદરતી દેખાઈ આવી હતી. જે પાત્ર મેં ભજવ્યું છે એ રિયલિસ્ટિક છે અને એની આસપાસનું વાતાવરણ પણ અનોખું હતું. આ સ્ટોરીએ મને ખૂબ આકર્ષિત કરી હતી એથી હું આ સિરીઝ કરવા માટે તૈયાર થઈ ગઈ હતી. મને પૂરી ખાતરી છે કે દર્શકો જ્યારે આ સિરીઝ જોશે તો તેઓ પણ વિચારતા થઈ જશે.’
ADVERTISEMENT