શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીની દીકરાને મળવા માટે મુખ્યપ્રધાનને અપીલ
વીડિયોમાંથી લીધેલો સ્ક્રીન શોટ
‘કસૌટી ઝિંદગી કી’ ફેમ અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari) તેના અંગત જીવનને લઈને સતત ચર્ચામાં રહે છે. પહેલાં પતિથી છુટાછેડા લીધા બાદ વર્ષ 2013માં અભિનેત્રીએ અભિનવ કોહલી (Abhinav Kohli) સાથે બીજા લગ્ન ક્યા અને લગ્ન બાદ દીકરાનાં જન્મ પછી તેમનાં સંબંધોમાં ખટાશ આવી છે. અભિનવ કોહલી પોતાના દીકરા રેયાંશને મળવા માટેની એક પણ તક છોડવા માગતો નથી. સોમવારે 9 નવેમ્બરના રોજ તેણે સોશ્યલ મીડિયામાં એક પછી એક પાંચ વીડિયો શૅર કર્યા હતા. આ વીડિયોમાં શ્વેતા તિવારી પતિને દીકરાને મળતો અટકાવે છે. અભિનવે આક્ષેપ મૂક્યો છે કે, શ્વેતાએ રેયાંશને હોટલના રૂમમાં છુપાવ્યો હતો.
અભિનવ કોહલીએ સૌપ્રથમ જે વીડિયો શૅર કર્યો છે, તેના કૅપ્શનમાં કહ્યું હતું, 'બીજા કોઈના નામે રૂમ લીધો હતો. સૌથી દુઃખની વાત એ છે કે પોલીસ પણ એક બાપને તેના દીકરા સાથે મળાવી શકી નહીં. હવે તે અહીંથી પણ ભાગી ગઈ. કેટલી મુશ્કેલીથી શોધી હતી. ઉદ્ધવ સાહેબ તથા મિસિસ ઉદ્વવ સાહેબ મહેરબાની કરીને કંઈક કરો. પિતા તરીકે હું ઘણું જ સહન કરી રહ્યો છું. બાળકને મળવામાં મારી મદદ કરો.'
ADVERTISEMENT
તેણે બીજા વીડિયોમાં કહ્યું કે, 'દીકરા સાથે થોડીકવાર મુલાકાત કરાવી અને પછી તે ગાયબ થઈ ગઈ. હું દરવાજા પર બેલ મારતો રહ્યો. આ તે બપોરનો વીડિયો છે અને બેબી કહી રહ્યો છે કે તમે હોટલ ના આવ્યા.'
આ જ રીતે ત્રીજા વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, 'તે જ દિવસે.'
ચોથા વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'બાળક ના પાડતો હતો તો પણ મેં તેને ઘરે આવવા દીધી. તેને કન્વિન્સ કરવા દીધી. બાળક સૂઈ ના જતું ત્યાં સુધી તું રહેતી અને મારી સાથે તે શું કર્યું? ઘરમાં ના આવવા દીધો અને હું બાળકને મળી ના શકું એટલે ભાગી ગઈ. એ વિચારે કે હું જ તેને મળવા આવતો નથી.'
પાંચમા તથા અંતિમ વીડિયોમાં અભિનવે કહ્યું હતું, 'મારી ભલાઈનો ફાયદો ઊઠાવવામાં આવ્યો છે. મેથી સપ્ટેમ્બર સુધી મને દૂર રાખ્યો, કોરોના થયો તો બાળક મને આપી દીધું. જ્યારે બાળક જવા નહોતું માગતું તો પણ મેં કહ્યું કે આવ, સમજાવ અને લઈ જા. મને શું મળ્યું? બાળક છીનવી લીધું.'
અભિનવ કોહલીનું કહેવું છે કે, શ્વેતા તિવારીને કોરોના થતાં દીકરો રેયાંશ 40 દિવસ સુધી તેની સાથે રહ્યો હતો. 25 ઓક્ટોબરના રોજ શ્વેતાએ રેયાંશને જબરજસ્તી તેની સાથે લઈ ગઈ હતી. શ્વેતાએ એક અઠવાડિયા સુધી દીકરા સાથે વાત ના કરાવી અને કહ્યું પણ નહીં કે તે ક્યાં છે. એટલું જ નહીં, અભિનવે હવે શ્વેતા વિરુદ્ધ માનહાનિનો કેસ ઠોકી દીધો છે. 14 દિવસમાં જો શ્વેતા જવાબ નહીં આપે તો પછી આગળ લિગલ એક્શન પણ લેશે.