સંજય મિશ્રા અને રાઘવ જુયાલ બહુત હુઆ સન્માન માટે રોકાયા હતા આશ્રમમાં
સંજય મિશ્રા અને રાઘવ જુયાલ
હૉટ સ્ટાર સ્પેશ્યલ્સની ફિલ્મ ‘બહુત હુઆ સન્માન’ માટે રાઘવ જુયાલ અને સંજય મિશ્રા હોટેલની જગ્યાએ આશ્રમમાં રોકાયા હતા. આ ફિલ્મની વાર્તા આજના યુવાનોની સ્ટ્રગલ અને સ્કૅમ્સની આસપાસ ફરે છે જેની અસર સોસાયટી પર કેવી પડે છે એ દેખાડવામાં આવશે. જોકે આ એક હ્યુમરથી ભરપૂર સ્ટોરી છે જેમાં તેમની સાથે અભિષેક ચૌહાણ, રામ કપૂર, નિધિ સિંહ અને નમિત દાસ પણ છે. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મનું શૂટિંગ વારાણસીમાં કરવામાં આવ્યું છે. આ શૂટિંગ દરમ્યાન તેઓ હોટેલની જગ્યાએ આશ્રમમાં રહેતા હતા. તેમ જ ભોજન પણ સંજય મિશ્રા જાતે બનાવતો હતો. ફિલ્મના અનુભવ વિશે વાત કરતાં સંજય મિશ્રાએ કહ્યું હતું કે ‘વારાણસીને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. આ એક એવી ફીલિંગ છે જેની સાથે તમે બંધાઈ જાઓ છો. હું જ્યારે પણ આ શહેરની મુલાકાત લઉં છું ત્યારે મને એવું લાગે છે કે મારા શરીરનો અમુક હિસ્સો ત્યાં જ હંમેશાં માટે રહી ગયો છે. ‘બહુત હુઆ સન્માન’ના શૂટિંગ દરમ્યાન હું ફિલ્મની કાસ્ટ સાથે શહેરની મુલાકાતે ઊપડતો હતો. આ દિવસો ખૂબ જ અદ્ભુત હતા. હું, રાઘવ અને અભિષેક લગભગ એક મહિના માટે આશ્રમમાં રોકાયા હતા. મને ખુશી છે કે મને આ ફિલ્મના શૂટિંગ દરમ્યાન આ અનુભવ મળ્યો.’
સંજય મિશ્રા સાથે કામ કરવા અનુભવ વિશે રાઘવ જુયાલે કહ્યું હતું કે ‘અમે ‘બહુત હુઆ સન્માન’ના શૂટિંગ દરમ્યાન ખૂબ જ મજા કરી હતી. દરરોજ નવી વાનગી ખાવા માટે હું સંજય સર અને અભિષેક સાથે આશ્રમમાં રોકાયો હતો. અમારા માટે સ્પેશ્યલ વાનગી અમારા સ્પેશ્યલ કુક સંજય સર દ્વારા બનાવવામાં આવતી હતી. મને ખુશી છે કે આ ફિલ્મમાં મને તેમની સાથે કામ કરવાની મને તક મળી.’