વિભીષણનું મોત: અંધારી આલમના જાણ્યા-અજાણ્યા કિસ્સા
પ્રતીકાત્મક તસવીર
બાતમીદાર રામાયણ કાળથી જ મૃત્યુ પામતો આવ્યો છે. વિભીષણે પણ મરવું જ પડ્યું હતું. એ વાત બીજા કોઈએ નહીં, મુંબઈના ભૂતપૂર્વ પોલીસ-કમિશનર સત્યપાલ સિંહે કરી છે. સેશન્સ કોર્ટની બહાર કાલા ઘોડા ચાર રસ્તા પર અમજદ અને હુમાયુંની ધોળા દિવસે હત્યા થઈ ત્યાર બાદ સત્યપાલ સિંહે પત્રકારોને આ વાત જણાવી હતી. બન્નેની ઘણી બેરહેમીપૂર્વક હત્યા થઈ હતી. હત્યાના તમામ ફોટો પણ અખબારોમાં પ્રસિદ્ધ થયા હતા. આવા ફોટો લોકોએ ભાગ્યે જ છાપાંઓમાં જોયાં હતાં. આ હત્યાકાંડથી મુંબઈ સહિત સમગ્ર દેશમાં આતંકની લહેર છવાઈ ગઈ હતી. જેએનપીટી પર છોટા રાજન ગૅન્ગનાં શસ્ત્રો જપ્ત કરવાના મામલામાં આ બન્નેએ બાતમી આપી હોવાની રાજનને શંકા હતી. કેટલાક બાતમીદારો જણાવે છે કે અમજદે બાતમી આપી એને કારણે જ હથિયાર કબજે થઈ શક્યાં હતાં. લોકોને એ ખબર ન પડી કે આ નિવેદન દ્વારા સત્યપાલ સિંહ શું સાબિત કરવા માગે છે?
એ તો ખબર નથી કે તેઓ બાતમીદારોને શું એવો સંદેશ આપી રહ્યા હતા કે બાતમીદારોના નસીબમાં મોત જ લખ્યું છે. તેઓ બાતમી આપશે તો અંતમાં તેમણે મોત જ વહાલું કરવું પડશે કે પછી તેઓ આ સ્થિતિ વિશે દુઃખની લાગણી પ્રગટ કરી રહ્યા હતા કે ગુપ્ત માહિતી લાવીને સમાજ અને દેશની રક્ષા કરનાર બાતમીદારોને આપણે બચાવી નથી શકતા. મારી સામે બેસીને વાતો જણાવી રહેલો શખસ બાતમીદાર છે. તે એટલી હદે દુખી છે કે લગભગ રડી પડ્યો. આંખોની કિનારી પર હળવેકથી સરકી આવેલાં આંસુનાં ટીપાંમાં ઊમટી રહેલું દર્દ કશું કહ્યા વિના પણ ઘણું બધું જણાવી ગયું.
ADVERTISEMENT
એક નિસાસો નાખીને તે બોલ્યો ઃ
અમે સૌથી મોટું કામ કરીએ છીએ સર, પણ અમારી કોઈ ઇજ્જત નથી. પોલીસ અમને ક્રિમિનલ કહીને મારે છે. અમારા પર કેસ પણ કરે છે. હવે તમે જ કહો સર, કોઈ શું કામ આમનું કામ કરે?