વિરાટ-રોહિત વગર ભારત ૦-૪થી ગુમાવશે ટેસ્ટ સિરીઝ
સ્ટીવન સ્મિથ
ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મૅચની સિરીઝથી ક્રિકેટ મુકાબલો શરૂ થવાનો છે અને એ માટેનું કાઉન્ટ-ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. એવામાં ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને ઑસ્ટ્રેલિયન પ્લેયરોએ માઇન્ડ-ગેમ રમવાનું શરૂ કર દીધું છે. વાસ્તવમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજની આ ટેસ્ટ સિરીઝમાં ગેરહાજરી હોવાથી માઇકલ ક્લાર્ક અને સ્ટીવન સ્મિથે ભવિષ્ય ભાખતાં કહ્યું છે કે આ બન્ને પ્લેયર્સની ગેરહાજરીને લીધે ભારત ૦-૪થી ટેસ્ટ સિરીઝ ગુમાવશે. જાન્યુઆરીમાં પપ્પા બનવાનો હોવાથી કોહલી પહેલી ટેસ્ટ મૅચ બાદ ભારત પાછો આવી રહ્યો છે, જ્યારે નિર્ધારિત સમયમાં ફિટ ન હોવાને લીધે રોહિત શર્મા શરૂઆતની બે ટેસ્ટ મૅચ ગુમાવી શકે છે.

ADVERTISEMENT
માઇકલ ક્લાર્ક
તાજેતરમાં એક મુલાકાતમાં ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પ્લેયર માઇકલ ક્લાર્કે કહ્યું કે ‘વિરાટ કોહલી વન-ડે અને ટી૨૦માં પોતાની ટીમનું સારુંએવું નેતૃત્વ કરી શકે છે. જો આ બન્ને સિરીઝમાં તે પોતાની ટીમને સારી શરૂઆત ન અપાવી શક્યો તો ટેસ્ટ સિરીઝમાં ભારતીય ટીમને ૦-૪થી હારનો સામનો કરવો પડી શકે છે. મારું માનવું છે કે મોટા ભાગે બધું પહેલી ટેસ્ટ મૅચ પર નિર્ભર રહેશે. પહેલી ટેસ્ટ મૅચ બાદ કોહલી સ્વદેશ જતો રહેશે. તે એક મોટો ખેલાડી છે અને તેની ખાલી જગ્યા ભરવી મુશ્કેલ છે.’
બીજી બાજુ સ્ટીવ સ્મિથનું કહેવું છે કે ‘વિરાટ કોહલી અને રોહિત શર્માની ગેરહાજરી ભારતીય ટીમમાં મોટી ખોટ પુરવાર થઈ શકે છે છતાં મહેમાન ટીમ પાસે સારા પ્રતિભાવાન ખેલાડીઓ છે જે દબાણની પરિસ્થિતિમાં પોતાની જવાબદારી નિભાવી શકે છે. લિમિટેડ ઓવરની ક્રિકેટનો અદ્ભુત પ્લેયર છે રોહિત. ઘણાં વર્ષોથી તે પોતાની પ્રતિભાની સાબિતી આપી રહ્યો છે. હા, તેની ગેરહાજરીથી ટીમને મુશ્કેલી નડશે, પણ ભારતીય ટીમની સારી વાત છે કે તેમની પાસે ઉચ્ચ કક્ષાના અનેક સારા બૅટ્સમૅન પણ છે.’


