પત્નીના 6000 ફેસબુક ફૉલોઅર્સ જોઈ શંકામાં અંધ પતિએ પત્નીની કરી હત્યા
પતિએ પત્નીની કરી હત્યા
રાજસ્થાનના આમેર વિસ્તારમાં પતિએ ચરિત્ર પર શંકા હોવાના કારણે પત્નીની હત્યા કરી દીધી હતી. પોલીસે આરોપી અયાઝ અહમદ અન્સારી (૨૬)ની ધરપકડ કરી લીધી છે. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે લગભગ બે વર્ષ પહેલાં તેનાં રેશમા ઉર્ફ નૈના મંગલાણી (૨૨) સાથે પ્રેમલગ્ન થયાં હતાં. પત્નીના ફેસબુક પર ૬૦૦૦ કરતાં વધારે ફૉલોઅર્સ છે, તે હંમેશાં મોબાઇલ પર જ વ્યસ્ત રહેતી હતી જેના કારણે અવારનવાર ઝઘડા થતા હતા. કંટાળીને યુવકે પત્નીની હત્યા કરવાનું વિચાર્યું. પતિએ રવિવારે સવારે પત્નીને સમાધાન કરવા માટે બોલાવી અને સાંજે અંધારું થતાંની સાથે જ હત્યા કરી દીધી હતી. બન્નેને ત્રણ મહિનાનો એક દીકરો પણ છે.
અયાઝે જણાવ્યું કે અમારા બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એવામાં મેં હત્યાનું કાવતરું ઘડ્યું. રવિવારે બપોરે મેં મારી પત્નીને મળવાના બહાને બોલાવી પછી તેને બિયર પીવડાવી. ત્યાર બાદ રાતે આમેર વિસ્તારમાં જયપુર-દિલ્હી હાઇવે પર નવી માતા મંદિર પાસે સૂમસામ સ્થળે ગળું દબાવીને હત્યા કરી નાખી. મૃતદેહની ઓળખાણ છુપાવવા માટે પથ્થર વડે તેનો ચહેરો કચડી નાખ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચો : 26મીએ માઉન્ટ એવરેસ્ટ પર માઇનસ 40 ડિગ્રી સેલ્સિયસમાં મૉડલ્સ કરશે રૅમ્પ વૉક
ત્યાર બાદ આરોપી પતિ પત્નીની સ્કૂટીને ઝાડીમાં ફેંકીને ભાગી ગયો. સોમવારે સવારે મુસાફરોએ પોલીસને આ વિશેની જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. રેશમા થોડાક મહિનાઓથી જયસિંહપુરા ખોરમાં તેના પિયરમાં રહેતી હતી. તે પતિ અયાઝ પાસે છૂટાછેડાની માગણી કરી રહી હતી. બે મહિના પહેલાં રેશમાએ એક દીકરાને જન્મ પણ આપ્યો હતો. આ સાથે જ પતિ-પત્ની વચ્ચે વિવાદ વધતો ગયો અને અયાઝે પત્નીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.