આતંકવાદી હુમલાની મુંબઈ મેટ્રો પર દહેશત
મુંબઈ મેટ્રો
વસોર્વાથી ઘાટકોપર ચાલતી શહેરની એકમાત્ર મેટ્રો ટ્રેન પર આતંકવાદી હુમલાની ગુપ્તચર એજન્સીએ વ્યક્ત કરેલી દેહશતના પગલે બાર જેટલાં મેટ્રો સ્ટેશન પર મુસાફરોની સલામતી માટે વધારાની સુરક્ષા ગોઠવવામાં આવી છે. આ મેટ્રો ટ્રેન રૂટ પર દરરોજના સાડાચાર લાખ જેટલા મુસાફરો પ્રવાસ કરે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિના પગલે મુંબઈ શહેર પર આતંકવાદી હુમલાની વિશેષ સૂચનાની સાથે સૌથી વધુ મુસાફરોની ભીડવાળાં રેલવે સ્ટેશનોને આતંકીઓ નિશાન બનાવી શકે છે. આ વિશે ‘મિડ-ડે’ને રિલાયન્સ મેટ્રો ટ્રેનના પબ્લિક રિલેશન્સ ઑફિસર વિક્રાંત જોષીએ જણાવ્યું હતું કે ‘ગુપ્તચર અને પોલીસની મળેલી સૂચના મુજબ આતંકીઓ મેટ્રો ટ્રેન રૂટને ટાર્ગેટ બનાવી શકે છે. દરરોજ ૪૪૦ મેટ્રો ટ્રેનની ટ્રિપમાં ૪.૫ લાખ મુસાફરો પ્રવાસ કરે છે. એના પગલે વસોર્વાથી ઘાટકોપરના રૂટ પર મેટ્રો ટ્રેનનાં ૧૨ સ્ટેશનોને અલર્ટ મોડ પર રાખવામાં આવ્યાં છે. દરેક મુસાફરોની વિશેષ તપાસ અને શંકાસ્પદ સામાનના ચેકિંગની સાથે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ પર અને સ્ટેશનની અંદરના ભાગે બહોળી સંખ્યામાં સુરક્ષા ગાર્ડને તહેનાત કરવામાં આવ્યા છે. અમે ટ્રેન ડેપોમાં પણ સઘન તલાસી અભિયાન ચલાવી સુરક્ષાનાં તમામ પગલાં લઈ રહ્યાં છીએ. અંધેરી અને ઘાટકોપર બે મોટાં મેટ્રો સ્ટેશન પર સવિશેષ બદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ટ્રેનમાં મુસાફરોને પણ અપીલ કરવામાં આવી છે કે શંકાસ્પદ વ્યક્તિ કે કોઈ ચીજવસ્તુ મળી આવે તો નજીકના સુરક્ષા ગાર્ડને જાણ કરવી.’
ADVERTISEMENT
આ પણ વાંચો : યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ કરીને રાજકીય ફાયદો ન લેશો : રાજ ઠાકરે
સલામતી માટે સફાઈ જરૂરી
મુંબઈ મેટ્રોના સંચાલકો દ્વારા મેટ્રોને ક્લિન રાખવા ૧૩ માર્ચ સુધી એક અભિયાન ચલાવવામાં આવ્યું છે. મેટ્રો ટ્રેનમાં ડ્રિન્ક અને ખાણી-પીણીનો સામાન લઈ જવાની મનાઈ છે. આમ છતાં અમુક મુસાફરો ટ્રેનમાં નાસ્તો અને કોલ્ડ ડ્રિન્ક્સની બૉટલો લઈ જઈને ટ્રેનના કોચમાં ગંદકી કરે છે. સલામતીનાં કારણોસર પણ આ પ્રકારની ચીજવસ્તુઓ લઈ જવાની મુંબઈ મેટ્રો ટ્રેનમાં મનાઈ છે. મુસાફરોની સવગડતા માટે દરેક સ્ટેશન પર જરૂરી નાસ્તો અને ઠંડાં પીણાંના સ્ટૉલ્સ ઉપલબ્ધ છે.