આખરે કપિલ શર્માના કોમેડી શૉમાંથી સિદ્ધુની છુટ્ટી, અર્ચનાએ મારી એન્ટ્રી
કપિલ શર્મા શૉમાં અર્ચનાએ લીધું સિદ્ધુનું સ્થાન
ધ કપિલ શર્મા શૉમાંથી આખરે નવજોતસિંહ સિદ્ધુની વિદાય થઈ ગઈ છે. રવિવારના એપિસોડમાં સિદ્ધુની જગ્યા અર્ચના પૂરણસિંહે લઈ લીધી છે. કપિલ શર્માએ આજના એપિસોડની જે તસવીર શેર કરી છે, તેમાં અર્ચના પણ જોવા મળી રહી છે. ઉપરાંત પહેલી માર્ચના રોજ રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'સોન ચિડિયા'ની સ્ટારકાસ્ટ મહેમાન તરીકે સામેલ થઈ છે.
આ પહેલા શનિવારની રાતે પ્રસારિત થયેલા એપિસોડમાં નવજોતસિંહ સિદ્ધુ જોવા મળ્યા હતા. આ એપિસોડમાં સેલેબ્રિટી તરીકે ક્રિકેટ લીગ સાથે જોડાયેલા સેલિબ્રિટીઝ સુનીલ શેટ્ટી, સોહેલ ખાન, સુદીપ કિચા, જિશુ સેનગુપ્તા, સુધીર બાબૂ, મનોજ તિવારી, દિનેશલાલ યાદવ નિરહુઆ, સચિન જોશીએ જબરદસ્ત ધમાલ કરી હતી. આ દરમિયાન સિદ્ધુ અને મનોજ તિવારી વચ્ચે ખૂબ મજાકમસ્તી પણ થયા હતા. જોકે નવજોતસિંહ સિદ્ધુની વિદાય પછી આશા છે કે કપિલ શર્મા શૉને લઇને ઉઠી રહેલા વિરોધના સૂરો પણ દબાઈ જશે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે 14 ફેબ્રુઆરીના રોજ પુલવામામાં થયેલા આતંકી હુમલા પછી નવજોતસિંહ સિદ્ધુના એક નિવેદનને કારણે કપિલ શર્મા શૉના બહિષ્કારની વાતો સોશિયલ મીડિયામાં ઉઠી રહી હતી અને તેના બંધ કરવાની માંગ કરવામાં આવી રહી હતી. ત્યારબાદ કપિલ શર્માએ પણ સિદ્ઘુના સૂરમાં સૂર મિલાવ્યા તો સોશિયલ મીડિયામાં લોકો કપિલની પાછળ પડી ગયા હતા.
સિદ્ધુએ પુલવામા આતંકી હુમલા પછી કહ્યું હતું કે આ પ્રકારના કાયર આતંકી હુમલાઓ માટે આખા દેશને જવાબદાર ઠેરવવો યોગ્ય નથી. આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. દુનિયામાં સારા, ખરાબ અને કદરૂપા લોકો હોય છે. દરેક જગ્યાએ આવા લોકો હોય છે. દરેક દેશમાં આવા લોકો હોય છે. જે ખરાબ છે, તેમને સજા આપવી જોઈએ, પરંતુ કોઈ ખરાબ માણસના કાયરતાપૂર્ણ કામ માટે બધાને દોષ આપવો યોગ્ય નથી.
આ પણ વાંચો: સિદ્ધુને ફિલ્મસિટીમાં એન્ટ્રી છે, પરંતુ નહીં કરી શકે કામ : અશોક પંડિત
લોકોએ સિદ્ધુના આ નિવેદનને પાકિસ્તાન માટે સહાનુભૂતિ તરીકે લીધું, જેના કારણે તેના પર રાજકારણ ગરમાયું અને લોકો સિદ્ધુની પાછળ પડી ગયા. સોશિયલ મીડિયામાં સિદ્ધુનો બોયકોટ કરવાના અવાજો ઉઠવા લાગ્યા. ત્યારબાદ સમાચાર આવ્યા કે સિદ્ધુની શૉમાંથી છુટ્ટી કરી દેવામાં આવી છે અને અર્ચના પૂરણસિંહને તેમની જગ્યાએ લેવામાં આવ્યા છે. જોકે, ગયા શનિવારે જ્યારે એપિસોડમાં સિદ્ધુ ફરી દેખાયા તો લોકોએ એકવાર ફરી સોશિયલ મીડિયામાં હોબાળો કર્યો હતો.