લક્ષ્મીજીનું ગમન-આગમન - (લાઇફ કા ફન્ડા)
લાઇફ કા ફન્ડા
એક શેઠજી ગર્ભશ્રીમંત હતા. પેઢી દર પેઢી તેમના કુટુંબ પર મા લક્ષ્મીની કૃપા સતત વરસતી હતી. જોકે મૂળ લક્ષ્મીનો સ્વભાવ ચંચળ અને હવે જાણે સાત પેઢી બાદ લક્ષ્મીજીએ ઘર બદલવાનું વિચાર્યું. શેઠજી ખૂબ જ ધર્મશીલ અને નીતિવાન હતા એથી મા લક્ષ્મીએ તેમને સપનામાં કહ્યું, ‘શેઠજી, તમારા કુટુંબ પર મેં સાત-સાત પેઢી કૃપા વરસાવી છે, પણ હવે મેં તમારા ઘરેથી જવાનું નક્કી કર્યું છે.’
ADVERTISEMENT
લક્ષ્મીજીની વાત સાંભળીને શેઠજી ધ્રૂજી ઊઠ્યા. મા લક્ષ્મી જતાં રહેશે તો પોતાનું અને પોતાના વારસદારોનું શું થશે? મા લક્ષ્મીજીને શેઠજી પગ પકડીને આજીજી કરવા લાગ્યા, ‘મા, અમારી ભૂલચૂક ક્ષમા કરો. મારા ઘરને છોડીને ન જાઓ.
હું મારા પૂર્વજોને શું મોં દેખાડીશ કે હું તમને જાળવી ન શક્યો.’
શેઠજીની અનેક આજીજી છતાં મા લક્ષ્મીજી ન માન્યાં તે ન જ માન્યાં અને બોલ્યાં, ‘ના, હવે મારું અહીંથી અન્ય સ્થળે જવું નક્કી જ છે.’
લક્ષ્મીજી રોકાવા તૈયાર ન થયાં, પણ શેઠજીની પ્રાર્થના અને આજીજી સાંભળીને લક્ષ્મીજીએ કહ્યું, ‘વત્સ, હું હવે અહીં રહી તો નહીં શકું, પણ જતાં-જતાં તને એક વરદાન ચોક્કસ આપવા માગું છું. માગ-માગ તું જે માગીશ એ હું આપીશ.’
શેઠજીએ કહ્યું, ‘મા, તમે ભલે ચાલ્યાં જાઓ; પણ વરદાન આપો કે મારો પરિવાર હંમેશાં સંપીને રહે, એકબીજાના સાથ-સહકારથી કામ કરે, એકતા સદા જળવાઈ રહે, પરિવારનો દરેક જન પુરુષાર્થી બને અને મહેનત કરવામાં પાછો ન પડે, હિંમતથી દરેક પરિસ્થિતિનો સામનો કરીને હસતો રહે.’
માતા લક્ષ્મીજીએ રાજી થઈને તથાસ્તુ કહ્યું અને પછી બસ શેઠજીના ઘરમાંથી વિદાય લીધી. પેઢી દર પેઢી ચાલતો શ્રીમંત શેઠનો વેપાર પડી ભાંગ્યો. શેઠજી ગરીબ બન્યા, પણ માતા લક્ષ્મીના વરદાનના પ્રતાપે બધા પરિવારજનો સંપ જાળવીને અને સદ્ભાવથી સાથે રહ્યા. કોઈએ એકબીજા પર દોષરોપણ ન કર્યું અને સખત મહેનત કરવાનું શરૂ કર્યું. બધા પરિશ્રમપૂર્વક ફરીથી વેપાર જમાવવાની કોશિશ કરવા લાગ્યા અને થોડા જ વખતમાં માતા લક્ષ્મીની કૃપા વરસવી શરૂ થઈ.
આ પણ વાંચો : પ્રેમનો અભાવ - (લાઇફ કા ફન્ડા)
શેઠજીને સપનામાં આવીને માતા લક્ષ્મીએ કહ્યું, ‘વત્સ, હું ફરી તારા ઘરે નિવાસ કરવા આવી છું; કારણ કે જ્યાં પ્રેમ, પુરુષાર્થ, સદ્ભાવ, સંયમ અને સંપ હોય ત્યાં પુણ્યોદય થાય છે અને ત્યાં હું નિવાસ કરું જ છું.’
શેઠજીના ઘરે ફરી મા લક્ષ્મીની સતત કૃપા વરસવા લાગી.


