જેટ ઍરવેઝમાં હિસ્સો ખરીદવા ઇચ્છતા રોકાણકારો માટે બિડની સમયમર્યાદા લંબાવ
એસબીઆઇ કૅપિટલ માર્કેટ્સે જેટ ઍરવેઝમાં હિસ્સો ખરીદવા ઇચ્છતા રોકાણકારો માટે બિડની સમયમર્યાદા લંબાવીને આજ સુધીની કરી દીધી છે.
સરકારી માલિકીની આ ઇન્વેસ્ટમેન્ટ બૅન્કે કહ્યા મુજબ એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ સુપરત કરવાની છેલ્લી તારીખ ૧૨મી એપ્રિલ છે. એ દિવસે સાંજે ૬ વાગ્યા સુધીમાં તે જમા કરાવી શકાશે.
ADVERTISEMENT
એસબીઆઇ કૅપિટલ માર્કેટ્સે નિવેદનમાં જણાવ્યા મુજબ પાત્ર નીવડેલા બિડરોએ પોતપોતાની બિડ મોડામાં મોડી ૩૦મી એપ્રિલ સુધીમાં સુપરત કરવાની રહેશે.
નોંધનીય છે કે જેટ ઍરવેઝની સમસ્યાઓ બુધવારે વધુ ગંભીર બની હતી. ઍમ્સ્ટરડેમથી મુંબઈ સુધીની એની ફ્લાઇટ ઊડે તેની પહેલાં જ યુરોપની એક કાર્ગો કંપનીએ એનું ઉડ્ડયન રોકાવ્યું હતું. એણે એ કંપનીનાં અગાઉનાં બિલ ચૂકવ્યાં નથી.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાના વડપણ હેઠળ બૅન્કોના સમૂહે આ ઍરલાઇનનું નિયંત્રણ પોતાને હસ્તક લઈ લીધું છે અને તેમાંથી હિસ્સો ખરીદવા માટે બિડ મગાવી છે.
જેટ ઍરવેઝ પાસે માત્ર ૧૪ વિમાનો બાકી રહ્યાં : સરકાર કામકાજની એની પાત્રતા ચકાસી રહી છે
જેટ ઍરવેઝની પાસે હવે માત્ર ૧૪ વિમાનો બાકી રહ્યાં છે અને સરકાર આંતરરાષ્ટ્રીય કામકાજ માટેની તેની પાત્રતા વિશે સમીક્ષા કરે એવી શક્યતા છે. તેણે આ મુદ્દે ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન પાસેથી રર્પિોટ મગાવ્યો છે, એમ નાગરી ઉડ્ડયન મંત્રાલયના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
એક સમયે ૧૨૩ વિમાનો ધરાવતી આ ઍરલાઇન પાસે ગુરુવારના રોજ ૧૪ વિમાનો બાકી રહ્યાં હતાં.
ઉડ્ડયનસચિવ પ્રદીપ સિંહ ખરોલાએ જણાવ્યા મુજબ જેટની પાસેથી બધી વિગતો મગાવવામાં આવી છે.
સરકારી નિયમ મુજબ કોઈ પણ ઍરલાઇન્સનું કામકાજ ચાલુ રાખવા માટે તેની પાસે ઓછામાં ઓછાં ૨૦ વિમાનો હોવાં જરૂરી છે.