13 June, 2025 07:00 AM IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent
પ્લેન ક્રેશ બાદ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ (તસવીર સૌજન્યઃ પીટીઆઇ)
આજે બપોરે અમદાવાદ (Ahmedabad)માં એર ઇન્ડિયા (Air India)નું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટના (Air India Plane Crash Ahmedabad)માં ફ્લાઇટમાં સવાર તમામ મુસાફરો અને ક્રુમેમ્બર, કુલ ૨૨૪ જણ મૃત્ય પામ્યા છે. જોકે, આ બધામાં એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો છે. જે અત્યારે હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.
અમદાવાદ પોલીસ (Ahmedabad Police) કમિશનર જીએસ મલિકે જણાવ્યું હતું કે, પોલીસને સીટ 11A પર એક જીવિત વ્યક્તિ મળી આવ્યો છે. તે વ્યક્તિ હોસ્પિટલમાં મળી આવ્યો છે અને તેની સારવાર ચાલી રહી છે.
૪૦ વર્ષીય વિશ્વાસ કુમાર રમેશ અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે જીવિત બચી ગયેલ છે. વિશ્વાસ કુમાર રમેશની અત્યારે એક હોસ્પિલમાં સારવાર ચાલી રહી છે. તેણે જણાવ્યું કે, ‘પ્લેને ટેકઓફ કર્યાની માત્ર ત્રીસ સેકન્ડ પછી એક જોરદાર અવાજ આવ્યો અને પછી વિમાન ક્રેશ થયું. આ બધું ખૂબ જ ઝડપથી થયું. જ્યારે હું જાગ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહો વિખરાયેલા હતા. હું ડરી ગયો અને ત્યાંથી ભાગી ગયો. મારી આસપાસ વિમાનના ટુકડા વિખરાયેલા હતા. કોઈએ મને પકડી લીધો અને એમ્બ્યુલન્સમાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા.’
વિશ્વાસ કુમાર રમેશને આંખો અને પગમાં ગંભીર ઈજા થઈ છે, પણ તે ભાનમાં છે અને વાત કરી શકે છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અસારવાના જનરલ વોર્ડમાં તેની સારવાર ચાલી રહી છે.
વિશ્વાસ કુમાર રમેશ બ્રિટિશ નાગરિક છે અને છેલ્લા કેટલાય દિવસોથી ભારતમાં પોતાના પરિવારને મળવા આવ્યા હતા. તે ૨૦ વર્ષથી પરિવાર સાથે લંડનમાં રહે છે. તેની પત્ની અને બાળકો પણ લંડનમાં રહે છે. રમેશ પોતાના ૪૫ વર્ષીય ભાઈ અજય કુમાર રમેશ સાથે લંડન પરત ફરી રહ્યો હતો. પણ હવે અજયનો કોઈ પત્તો નથી.
વિશ્વાસ કુમાર રમેશ કહે છે કે, ‘અમે દીવ ફરવા ગયા હતા. અજય મારી સાથે હતો. પણ તે ફ્લાઈટમાં અલગ સીટ પર બેઠો હતો. હવે તેનો કોઈ અત્તો પત્તો નથી. મહેરબાની કરીને મારી મદદ કરો.’
નોંધનીય છે કે, વિશ્વાસ કુમાર રમેશ પાસે હજુ પણ પોતાનો બોર્ડિંગ પાસ છે. આ ભયાનક દુર્ઘટનાનો તે એકમાત્ર સાક્ષી છે. અત્યારે તેની અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અસારવાના જનરલ વોર્ડમાં સારવાર ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન લંડન જઈ રહ્યું હતું. અને ગુરુવાર બપોરે ૧.૩૮ વાગ્યે ટેકઓફની થોડી જ મિનિટ બાદ અમદાવાદમાં ક્રેશ થઈ ગઈ. વિમાનમાં સવાર ૨૩૦ મુસાફરોમાંથી ૧૬૯ ભારતીય નાગરિક, ૫૩ બ્રિટિશ, ૭ પોર્ટુગલી અને ૧ કેનેડિયન મુસાફર હતો.