17 June, 2022 12:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓવર ટુ ઇંગ્લૅન્ડ, એકમાત્ર ટેસ્ટમાં થશે કસોટી : પહેલી જુલાઈથી બર્મિંગહૅમમાં ઇંગ્લૅન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટ માટે ભારતના કેટલાક ખેલાડીઓ ગઈ કાલે યુકે જવા રવાના થયા છે. આ પ્લેયર્સમાં વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા, રવીન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજનો સમાવેશ હતો. કૅપ્ટન રોહિત શર્મા હજી પૂરો ફિટ નથી થયો અને કે. એલ. રાહુલ ઈજાને કારણે આ ટેસ્ટમાં નથી રમવાનો.
ભારતનો ઓપનિંગ બૅટર કે. એલ. રાહુલ (લોકેશ રાહુલ) જમણી સાથળના સ્નાયુઓની ગંભીર ઈજાને કારણે હમણાં ભારતીય ટીમની બહાર છે. તે સર્જરી માટે જર્મની જશે. આ કારણસર તે ઇંગ્લૅન્ડ સામેની આગામી એકમાત્ર ટેસ્ટમાં તેમ જ ત્રણેક મહિના સુધી કોઈ પણ સિરીઝમાં નહીં રમે. તે આ મહિનાના અંતે અથવા જુલાઈના પહેલા અઠવાડિયામાં જર્મની જશે. જુલાઈની શરૂઆતમાં એજબૅસ્ટનમાં રમાનારી ગયા વર્ષની બાકી રહેલી એકમાત્ર ટેસ્ટ માટેની ટીમમાં કે. એલ. રાહુલને રોહિત શર્માનો ડેપ્યુટી જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે સિલેક્ટરોએ રોહિતના વાઇસ-કૅપ્ટન તરીકે બીજા કોઈનું નામ જાહેર કરવું પડશે.