10 March, 2025 08:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સૌરવ ગાંગુલી
દાદાના નામે જાણીતા અને ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પાકિસ્તાનની પિચો વિશે મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે કે ‘ભારતીય ટીમ પાકિસ્તાનની ટૂર નથી કરતી એ તેમની ભૂલ નથી. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા રાજકીય મતભેદોને કારણે ભારત સરકાર ટીમને પડોશી દેશની યાત્રા કરવાની મંજૂરી આપતી નથી. અને હું તમને કહી શકું છું કે વિરાટ કોહલી, રોહિત શર્મા, કે. એલ. રાહુલ, શ્રેયસ ઐયર દુખી હશે કે તેઓ લાહોર અને કરાચીની પિચો પર બૅટિંગ કરી શકતા નથી જ્યાં વિરોધીઓ ૩૫૦ રન બનાવી રહ્યા છે.’
ગાંગુલી વધુમાં કહે છે, ‘પાકિસ્તાનમાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડે ૩૫૦+ રન કર્યા. ઑસ્ટ્રેલિયાએ આવા મોટા ટાર્ગેટ ચેઝ પણ કર્યા, ન્યુ ઝીલૅન્ડે ૩૬૦+ રન કર્યા. તમે દુબઈમાં સ્કોર જુઓ- ૨૪૦, ૨૫૦. વિરાટ કોહલી, રોહિત શર્મા, શ્રેયસ ઐયર અને શુભમન ગિલ વિચારશે કે આપણે દુબઈમાં એવી પિચ પર કેમ નથી રમી રહ્યા? જેના પર ત્રણ કે ચાર સેન્ચુરી વધુ મળી શકી હોત. ખરેખર, ભારતીય ટીમ પાકિસ્તાનથી દૂર, (દુબઈમાં) ફ્લૅટ પિચનો ફાયદો નથી ઉઠાવી રહ્યી.’ ૨૦૨૫ની સીઝન હાઇએસ્ટ સેન્ચુરી અને ૩૦૦ પ્લસના સ્કોરવાળી ચૅમ્પિયન્સ ટ્રોફી સીઝન રહી છે.