કોરોના વિસ્ફોટ : એક જ દિવસમાં ૮૫ અમદાવાદ પોલીસ કોરોના સંક્રમિત

17 January, 2022 03:11 PM IST  |  Ahmedabad | Gujarati Mid-day Online Correspondent

આ બધા જ પોલીસો ઉત્તરાયણના બંદોબસ્તમાં હતા

પ્રતીકાત્મક તસવીર

દેશભરમાં કોરોના વાયરસ (COVID-19)ના કેસ વધી રહ્યાં છે. ગુજરાત રાજ્ય પણ તેમાંથી બાકાત નથી. કોરોનાના વધતા કેસ પર રોક લગાવવા માટે ગુજરાત સરકારે ઉત્તરાયણની ઉજવણી પર અનેક પ્રતિબંધ મુક્યા હતા. પરંતુ સરકારને એ ક્યા ખબર હતી કે, ઉત્તરાયણના દિવસે ફરજ બજાવી રહેલા પોલીસો જ કોરોનાનો ભોગ બનશે. ઉત્તરાયણના દિવસે ફરજ બજાવી રહેલા પોલીસોમાંથી એક જ દિવસમાં ૮૫ પોલીસ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ પોલીસના હજારો પોલીસ કોરોનાનો ભોગ બન્યા હતા. જેમાંથી ૧૯ જવાનોએ જીવ ગુમાવ્યો હતો. હવે ત્રીજી લહેરમાં ફરી અમદાવાદ પોલીસ ભરડામાં આવી ગઇ છે. અમદાવાદ પોલીસ કન્ટ્રોલ રુમના ડીસીપી ડૉક્ટર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમદાવાદ શહેરના કુલ ૩૫૧ પોલીસ જવાનો/અધિકારીઓ કોરોના સંક્રમિત થયા છે. તેઓ હૉમ આઇસોલેશનમાં સારવાર લઇ રહ્યાં છે. તેમાંથી એક જ દિવસમાં એટલે કે ગઇકાલે ૮૫ પોલીસ સંક્રમિત થયા છે.

ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે પોલીસ જવાનો-હોમગાર્ડ અને એસઆરપી જવાનોને વૅક્સિનનો ત્રીજો ડોઝ મળી રહે તેવી વ્યવસ્થા કરવાનું આયોજન કરવાનું કીધું છે. તેમજ જો કોઈ પણ જવાનને કોરોનાના લક્ષણ જણાય તો તાત્કાલિક તેઓ આરટી-પીસીઆર ટેસ્ટ કરાવે તેવી સલાહ આપવામાં આવી છે.

gujarat gujarat news ahmedabad coronavirus covid19 makar sankranti