17 July, 2026 01:22 PM IST | London | Gujarati Mid-day Online Correspondent
રોહિત શર્માની ફાઇલ તસવીર
ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ના ‘હિટમેન’ કહેવાતા રોહિત શર્મા (Rohit Sharma)ની આગામી મેચ ફેરવેલ મેચ બની શકે છે, તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કારણ કે પસંદગીકારો હવે ૨૦૨૭ના વર્લ્ડ કપ (ICC World Cup 2027) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ૧૯ જુલાઈના રોજ લોર્ડ્સ (Lord’s) ખાતે ઈંગ્લેન્ડ (England) સામે ભારત (India)ની ત્રીજી અને અંતિમ વન-ડે મેચ રમાય તે પહેલાં રોહિત શર્માની નિવૃત્તિ (Rohit Sharma ODI Retirement) અંગેની અટકળોએ જોર પકડ્યું છે. ભારતીય કેપ્ટનના માતા-પિતા ગુરુનાથ શર્મા (Gurunath Sharma) અને પૂર્ણિમા શર્મા (Purnima Sharma) આ મેચ જોવા લંડન (London) પહોંચ્યા હોવાના અહેવાલોએ આ વરિષ્ઠ ઓપનરની વન-ડે ઇન્ટરનેશનલ (ODI) ક્રિકેટમાં છેલ્લી મેચ હોવાની ચર્ચાઓને વધુ હવા આપી છે. જોકે, રોહિત શર્મા કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India)એ સત્તાવાર રીતે નિવૃત્તિની કોઈ યોજનાની પુષ્ટિ કરી નથી.
અહેવાલ અનુસાર, રોહિત શર્માના માતા-પિતા લોર્ડ્સમાં રમાનારી ત્રીજી વન-ડે મેચ (India vs England 3rd ODI) જોવા માટે લંડન ગયા છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વન-ડે ફોર્મેટમાં પોતાના ભવિષ્ય અંગે પસંદગીકારોની યોજનાઓ વિશે જાણ થયા પછી રોહિતે પોતે તેમના માટે આ મેચ જોવાની વ્યવસ્થા કરી હતી. તેમના લંડન આગમનના અહેવાલોને કારણે ચાહકોમાં વ્યાપક અટકળો શરૂ થઈ છે, જેમાં ઘણા લોકો માની રહ્યા છે કે લોર્ડ્સની આ મેચ ભારતના સર્વશ્રેષ્ઠ વન-ડે બેટ્સમેનોમાંના એક માટે ભાવુક વિદાય સમાન બની શકે છે.
મીડિયા અહેવાલો સૂચવે છે કે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની પસંદગી સમિતિ, મુખ્ય કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) સાથે મળીને ૨૦૨૭ના આઈસીસી વન-ડે વર્લ્ડ કપ તરફ નજર દોડાવી રહી છે અને ભવિષ્ય માટે એક યુવા ટીમ તૈયાર કરી રહી છે.
અહેવાલોમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે, રોહિત શર્માને જાણ કરી દેવામાં આવી છે કે તે ઈંગ્લેન્ડ શ્રેણી પછી ભારતની લાંબા ગાળાની વન-ડે યોજનાઓનો હિસ્સો નથી, અને ટીમમાં પરિવર્તનના ભાગરૂપે યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) સહિતના યુવા ખેલાડીઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જોકે, બીસીસીઆઈએ આ અહેવાલો પર કોઈ સત્તાવાર ટિપ્પણી કરી નથી.
મીડિયા હાઉસ દ્વારા ટાંકવામાં આવેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, ‘પસંદગીકારોએ રોહિતને સ્પષ્ટ કરી દીધું છે કે ઈંગ્લેન્ડ પ્રવાસ પછી તે તેમની યોજનાઓમાં સામેલ નથી અને તેઓ આ શ્રેણી પછી તેનાથી આગળ વધી રહ્યા છે. રોહિત ખાસ કરીને પોતાની ફિટનેસ પર કામ કર્યા પછી રમવાનું ચાલુ રાખવા માંગતો હતો, પરંતુ પસંદગીકારોએ અંતિમ નિર્ણય શર્મા પર છોડી દીધો છે.’
નિવૃત્તિની આ અટકળો રોહિત શર્મા માટે ઈંગ્લેન્ડ સામેની મુશ્કેલ વન-ડે શ્રેણી વચ્ચે આવી છે. આ અનુભવી ઓપનરે પ્રથમ વન-ડેમાં ૧૧ રન કર્યા હતા, જ્યારે કાર્ડિફ (Cardiff)માં રમાયેલી બીજી મેચમાં ૪૭ બોલમાં ૨૬ રન બનાવ્યા હતા. ભલે તેનું હાલનું ફોર્મ સાધારણ રહ્યું હોય, પરંતુ ભારતીય ક્રિકેટમાં રોહિતનું યોગદાન આ શ્રેણી કરતાં ઘણું વધારે છે.
જો આ અહેવાલો સાચા સાબિત થશે, તો રોહિત શર્મા આધુનિક ક્રિકેટની સૌથી શાનદાર વન-ડે કારકિર્દીનો અંત લાવશે. ૩૯ વર્ષીય રોહિત શર્માએ ભારતને ૨૦૨૩ના આઈસીસી વન-ડે વર્લ્ડ કપ (ICC ODI World Cup 2024)ની ફાઇનલમાં પહોંચાડ્યું હતું અને ૨૦૨૪ના આઈસીસી ટી૨૦ વર્લ્ડ કપ (ICC T20 World Cup 2024)માં ટીમને જીત અપાવી હતી. તે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં ત્રણ બેવડી સદી ફટકારનાર એકમાત્ર બેટ્સમેન છે, જેમાં ૨૬૪ રનનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર સામેલ છે. આમ તેણે આ ફોર્મેટમાં વિશ્વના સૌથી સફળ ઓપનિંગ બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું છે.
ટી૨૦ ઇન્ટરનેશનલ (T20I) અને ટેસ્ટ ક્રિકેટ (Test Cricket)માંથી તે પહેલા જ નિવૃત્તિ લઈ ચૂક્યો હોવાથી, હાલમાં વન-ડે જ એકમાત્ર એવું આંતરરાષ્ટ્રીય ફોર્મેટ છે જેમાં રોહિત શર્મા ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
રોહિત શર્માના માતા-પિતા લંડનમાં હોવાના અહેવાલો અને નિવૃત્તિની અફવાઓ હેડલાઇન્સમાં છવાયેલી હોવાથી, ૧૯ જુલાઈએ જ્યારે ભારત શ્રેણીની અંતિમ મેચમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે ત્યારે તમામની નજર લોર્ડ્સના મેદાન પર રહેશે. હાલ પૂરતી આ અટકળો બિનસત્તાવાર છે. જ્યાં સુધી રોહિત શર્મા અથવા બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી લોર્ડ્સ વન-ડેને પુષ્ટિ થયેલી વિદાય મેચને બદલે નિવૃત્તિની અફવાઓથી ઘેરાયેલી મેચ તરીકે જ જોવી જોઈએ.
પરિણામ ગમે તે આવે, પરંતુ આ ક્ષણ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ચોક્કસપણે ભાવુક કરનારી રહેશે!