26 July, 2025 06:33 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રિષભ પંત (તસવીર સૌજન્ય મિડ-ડે)
લૉર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન પણ રિષભ પંતને ઇજા થઈ હતી. ત્યારે પંત ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહના બૉલને કલેક્ટ કરવાનો પ્રયત્ન કરવામાં પોતાના ડાબા હાથની તર્જની આંગળીમાં જખમી થઈ ગયો હતો. ત્યારે પણ તેની જગ્યાએ ધ્રુવ જુરેલે કીપિંગ કરી હતી.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મૅન્ચેસ્ટરના ઑલ ટ્રૅફર્ડમાં રમાતી આ ટેસ્ટ મેચમાં વિકેટકીપર બૅટર રિષભ પંતને ગંભીર ઈજા થઈ. રિષભ પંતને આ ઇજા પહેલા દિવસની રમત દરમિયાન જમણાં પગના અંગૂઠામાં લાગી હતી, ત્યારે તે ક્રિસ વોક્સના બૉલ પર રિવર્સ સ્વીપ મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રિષભ ખૂબ જ પીડામાં કણસી રહ્યો હતો અને તેણે રિટાયર્ડ હર્ટ થવું પડ્યું.
જોકે, રિષભ પંતે બીજા દિવસે ફરી બેટિંગ કરી અને અડધી સદી ફટકારવામાં પણ સફળ રહ્યો. જોકે, પંત આ મેચમાં વિકેટકીપિંગ કરવાની સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં, ધ્રુવ જુરેલ તેની જગ્યાએ વિકેટકીપિંગની જવાબદારી નિભાવી રહ્યો છે. એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે જુરેલ ફક્ત વિકેટકીપિંગ જ કરી શકે છે, તે ICC (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ) ના નિયમો મુજબ બેટિંગ કે બોલિંગ કરી શકશે નહીં.
હાલના નિયમો હેઠળ, જો કોઈ ખેલાડી ઘાયલ થાય છે, તો તેની જગ્યાએ આવનાર અવેજી ખેલાડી ફક્ત ફિલ્ડિંગ જ કરી શકે છે, પરંતુ તે ખેલાડી બેટિંગ કે બોલિંગ કરી શકશે નહીં. પરંતુ જો ખેલાડી માથા કે આંખમાં ઈજા પામે છે અને કન્કશન ટેસ્ટમાં નિષ્ફળ જાય છે, તો કન્કશન અવેજીનો ઉપયોગ કરી શકાય છે. કન્કશન અવેજી બૉલિંગ, બેટિંગ અથવા ફિલ્ડિંગ કરી શકે છે.
શું ICC નિયમોમાં ફેરફાર કરશે?
હવે રિષભ પંતની ઈજા પછી, ICC અવેજી નિયમોમાં ફેરફાર કરી શકે છે. TOI રિપોર્ટ અનુસાર, આગામી સમયમાં, ટીમોને બાહ્ય ઇજાઓ માટે ખેલાડીઓને બદલવાની પણ મંજૂરી આપવામાં આવી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ICC પહેલાથી જ આ અંગે ચર્ચા કરી રહ્યું છે. ICC ક્રિકેટ સમિતિની આગામી બેઠકમાં તેને મંજૂરી મળી શકે છે.
ICCના એક સૂત્રએ જણાવ્યું હતું કે, `ગંભીર બાહ્ય ઇજાઓના કિસ્સામાં ટીમોને રિપ્લેસમેન્ટ ખેલાડીઓ લાવવાની મંજૂરી આપવામાં આવશે તેવી શક્યતા છે. આ મુદ્દા પર ચર્ચાઓ પહેલાથી જ ચાલી રહી છે. ICC ક્રિકેટ સમિતિની આગામી બેઠકમાં તેને ઔપચારિક રીતે મંજૂરી મળે તેવી અપેક્ષા છે.`
લોર્ડ્સમાં ત્રીજી ટેસ્ટ દરમિયાન રિષભ પંતને પણ ઈજા થઈ હતી. ત્યારબાદ ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહનો બોલ લેવાનો પ્રયાસ કરતી વખતે રિષભ પંતના ડાબા હાથની તર્જની આંગળીમાં ઈજા થઈ હતી. તે પછી પણ ધ્રુવ જુરેલે તેની જગ્યાએ વિકેટકીપિંગ કર્યું હતું, પરંતુ વર્તમાન નિયમો અનુસાર, જુરેલ બેટિંગ કરી શક્યો ન હતો.