ઘણી ટીમ આ પ્રકારે મૅચ હારી છે

15 April, 2021 11:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કલકત્તાના પરાજય વિશે શાહરુખની માફી પર રસેલે કહ્યું

આન્દ્રે રસેલ

મંગળવારે મુંબઈની સામે કલકત્તાની ટીમ ૧૦ રનથી હારી જતાં શાહરુખ ખાને પ્રશંસકોની માફી માગી હતી. આન્દ્રે રસેલ અને દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓ પણ ટીમને વિજય અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા. બે ઓવરમાં પાંચ વિકેટ લેનાર વેસ્ટ ઇન્ડીઝનો ખેલાડી બે વખત જીવતદાન મળ્યા છતાં છેલ્લી પાંચ ઓવરમાં બાઉન્ડ્રી ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. તે ૧૫ બૉલમાં ૯ રન કરી છેલ્લી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટના હાથે આઉટ થયો હતો.

શાહરુખ ખાનના ટ્વીટ વિશે પૂછવામાં આવતાં તેણે કહ્યું કે ‘હું તેમની વાત સાથે સહમત છું, પરંતુ ક્રિકેટ અનિશ્ચિતતાની રમત છે. છેક સુધી તમે કંઈ ન કહી શકો. અમને વિશ્વાસ છે, અમે સારી રમત રમી શકીએ છીએ. હજી તો બીજી જ મૅચ હતી. અમે એનાથી શીખીશું.’

છેલ્લે થયેલા ધબડકા વિશે રસેલે કહ્યું હતું કે ‘હું ઘણી ટી૨૦ મૅચ રમ્યો છું, જેમાં તમે સારી સ્થિતિમાં હોય ત્યારે અચાનક કેટલીક વિકેટો પડી જાય. નવા બૅટ્સમેનો આવે, જે રન ન કરી શકે. આવું જ કંઈક થયું હતું. મૅચમાં થયેલી ભૂલોમાંથી અમે શીખીશું અને આગળ વધીશું.’

sports sports news cricket news indian premier league ipl 2021 kolkata knight riders mumbai indians Shah Rukh Khan andre russell