૪૦ વર્ષથી ભારતની ધરતી પર વન-ડે સિરીઝ નથી જીતી શકી અંગ્રેજ ટીમ

05 February, 2025 09:21 AM IST  |  Nagpur | Gujarati Mid-day Correspondent

છેલ્લે જાન્યુઆરી ૧૯૮૫માં વન-ડે સિરીઝમાં ભારતને એની જ ધરતી પર હરાવ્યું હતું, ૧૦માંથી ૭ સિરીઝ ભારતીય ટીમે જીતી અને બે રહી છે ડ્રૉ

ગઈ કાલે નાગપુરમાં પ્રૅક્ટિસ દરમ્યાન મસ્તીના મૂડમાં ભારતીય ક્રિકેટરો.

ચૅમ્પિયન્સ ટ્રોફીની અંતિમ તૈયારીના ભાગરૂપે આવતી કાલે છઠ્ઠી ફેબ્રુઆરીથી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે ત્રણ મૅચની વન-ડે સિરીઝ રમાશે. વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમ ૨૦ ફેબ્રુઆરીએ બંગલાદેશ સામે અને ઇંગ્લૅન્ડ બાવીસ ફેબ્રુઆરીએ ઑસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. વન-ડે ફૉર્મેટમાં ભારત અને ઇંગ્લૅન્ડના રેકૉર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ અંગ્રેજો પર ભારે જ પડી છે.

ઇંગ્લૅન્ડની ટીમ ૧૯૮૧-’૮૨માં ભારતમાં પહેલી વાર વન-ડે સિરીઝ રમવા આવી હતી. ભારતની ધરતી પર પહેલી વાર વન-ડે સિરીઝ રમવા આવનાર પહેલી ટીમ પણ બની હતી. ત્યારથી બન્ને ટીમ વચ્ચે ભારતની ધરતી પર ૧૦ વન-ડે સિરીઝ રમાઈ છે જેમાંથી માત્ર ૧૯૯૨-’૯૩ અને ૨૦૦૦-’૦૧ની છ મૅચની વન-ડે સિરીઝ ૩-૩ના સ્કોરથી ડ્રૉ રહી હતી. બાકીની આઠમાંથી સાત વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે કબજો કર્યો હતો. 

ઇંગ્લૅન્ડની ટીમ ભારતની ધરતી પર જાન્યુઆરી ૧૯૮૫માં એકમાત્ર વન-ડે સિરીઝ જીતી છે. એ સમયે સુનીલ ગાવસકરના નેતૃત્વવાળી ભારતીય ટીમ સામે અંગ્રેજ ક્રિકેટર્સ પાંચ મૅચની સિરીઝ ૪-૧થી જીતવામાં સફળ રહ્યા હતા.

છેલ્લે ઇંગ્લૅન્ડે પોતાની ધરતી પર ૨૦૧૮માં ભારતીય ટીમ સામે ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ૨-૧થી જીત મેળવી હતી. ત્યાર બાદ ૨૦૨૧માં ભારતમાં અને ૨૦૨૨માં ઇંગ્લૅન્ડમાં આયોજિત ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ભારતીય ટીમે ૨-૧થી બાજી મારી હતી.

ઓવરઑલ રેકૉર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ છેલ્લે ૨૦૨૩માં ઑસ્ટ્રેલિયા સામે ૨-૧થી ત્રણ મૅચની વન-ડે સિરીઝ હારી હતી જેને કારણે ઘરઆંગણે સતત સાત વન-ડે સિરીઝ જીત્યા બાદ ભારતનો વિજયરથ અટકી ગયો હતો.

વન-ડે ફૉર્મેટમાં હેડ-ટુ-હેડ રેકૉર્ડ

કુલ મૅચ

 ૧૦૭

ભારતની જીત

 ૫૮

ઇંગ્લૅન્ડની જીત

 ૪૪

ટાઇ

૦૨

નો-રિઝલ્ટ

 ૦૩

 

india england champions trophy australia indian cricket team cricket news sports sports news