જાડેજા -વિલિયમસનની ટક્કરથી ફાઇનલ મૅચનું રિઝલ્ટ નક્કી થઈ શકે : આર. અશ્વિન

10 March, 2025 06:53 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

ભારત છેલ્લે UAEમાં વન-ડે ક્રિકેટ, ૨૦૨૩ એશિયા કપમાં રમ્યું હતું. અન્ય ટીમ પણ અહીં રમી ચૂકી છે. એથી પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો.

પ્રૅક્ટિસ દરમ્યાન કેન વિલિયમસન, રવીન્દ્ર જાડેજા

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર રવિચન્દ્રન અશ્વિન ટીમ ઇન્ડિયાને લઈને કેટલીક સચોટ ભવિષ્યવાણી કરી રહ્યો છે. તેણે ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચેની ફાઇનલ મૅચ માટે પણ પોતાની યુટ્યુબ ચૅનલ પર રસપ્રદ વાત કરી છે. તે કહે છે, ‘કેન વિલિયમસન અને રવીન્દ્ર જાડેજા વચ્ચેની સ્પર્ધા સૌથી રોમાંચક હશે. જાડેજાનો સામનો કરતી વખતે વિલિયમસન લેગ સ્ટમ્પ તરફ આગળ વધે છે, કારણ કે તે જાણે છે કે જાડેજા તેને પરેશાન કરી રહ્યો છે. જાડેજા પણ તેની લેન્થ અને ગતિમાં ફેરફાર કરે છે. તેઓ ટૉમ ઍન્ડ જેરી જેવા છે. તેમની ટક્કરથી ફાઇનલનું રિઝલ્ટ નક્કી થઈ શકે છે. જાડેજા સામે કટ શૉટ રમવો મુશ્કેલ છે અને તેને હરાવવો ખરેખર અશક્ય છે.’

દુબઈમાં એક જ સ્થળે રમવાને કારણે ભારતને ફાયદો થઈ રહ્યો છે એ સમાચારોની ટીકા કરતાં રવિચન્દ્રન અશ્વિન કહે છે, ‘ટુર્નામેન્ટ પ્રદર્શનના આધારે જિતાય છે, બહાનાના આધારે નહીં. યજમાન સાઉથ આફ્રિકાએ ૨૦૦૯ની ચૅમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની બધી મૅચ એક જ મેદાન પર રમી હતી, પણ તેઓ ક્વૉલિફાય પણ કરી શક્યા નહોતા. ભારત છેલ્લે UAEમાં વન-ડે ક્રિકેટ, ૨૦૨૩ એશિયા કપમાં રમ્યું હતું. અન્ય ટીમ પણ અહીં રમી ચૂકી છે. એથી પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો.’

જાડેજા v/s વિલિયમસનની વન-ડેમાં ટક્કરનો રેકૉર્ડ

બૉલ

૨૦૭

રન

૧૫૯ 

આઉટ

૦૨

ડોટ બૉલ

૧૦૭

ચોગ્ગા

૧૬

છગ્ગા

૦૦

 

india new zealand champions trophy dubai ravichandran ashwin ravindra jadeja kane williamson cricket news sports news sports