03 February, 2025 10:36 AM IST | Prayagraj | Gujarati Mid-day Correspondent
મહાકુંભમાં ૭૭ દેશોનું રાજનૈતિક પ્રતિિનધિમંડળ અને એમાંથી ડૂબકી લગાવતા કેટલાક લોકો.
સ્લોવેકિયા, આર્જેન્ટિના અને ઝિમ્બાબ્વે સહિત ૭૭ દેશના રાજદૂત, તેમના જીવનસાથી અને મિશનપ્રમુખ સહિત ૧૧૮ સભ્યના પ્રતિનિધિમંડળે શનિવારે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભની મુલાકાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જીવનમાં એક જ વાર થતો અનુભવ થયો.
મહાકુંભની મુલાકાત લેનારા રાજનૈતિક પ્રતિનિધિમંડળમાં સામેલ સ્લોવેકિયાના ભારતના રાજદૂત રૉબર્ટ મૅક્સિયને કહ્યું હતું કે ‘હું ખૂબ જ ઉત્સાહિત છું. હું આ મહાન આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવા માટે તમારી સરકારને અભિનંદન આપવા માગું છું. હું ભારતનો ફૅન છું, ભારત મારા બીજા ઘર જેવું છે.’
ઝિમ્બાબ્વેના ભારતના રાજદૂત સ્ટેલા એનકૉમોને કહ્યું હતું કે ‘જીવનમાં એક જ વાર થતો અનુભવ થયો. આ આયોજન કરવા બદલ ઉત્તર પ્રદેશ સરકારની આભારી છું. રાજદ્વારી જીવનનો મતલબ સાંસ્કૃતિક અને સાર્વજનિક રાજદ્વારીને આગળ વધારવાનો છે. આ એક સાંસ્કૃતિક રાજદ્વારી છે, જેમાં અમે ભારતને ઊંડાણપૂર્વક સમજવા માગીએ છીએ.’
ભારતમાં બોલિવિયાના મિશન પ્રમુખ ક્રિશ્ચિયન વિલારિયલે કહ્યું હતું કે ‘મને એક વર્ષ પહેલાં દિવાળીના તહેવારમાં આયોજિત કાર્યક્રમમાં પણ આમંત્રિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ અવસરની તુલના કોઈ બીજા અવસર સાથે કરી ન શકાય. મારા પુત્રો પણ આવા આયોજનમાં સામેલ નહીં થઈ શકે જે ૧૪૪ વર્ષમાં એક વાર થાય છે.’
મહાકુંભમાં કેટલાય લોકો હજીયે મિસિંગ
મહાકુંભમાં પોતાના ફોનમાં લાપતા સ્વજનનો ફોટો દેખાડતા નેપાલના બિન્દ્રા રામ. બીજી તરફ એક યુવાન પોતાના મિસિંગ સ્વજન વિશેનું પોસ્ટર લગાડતો જોવા મળ્યો હતો.