દિલ્હીના લાલ કિલ્લામાંથી ચોરાયેલો એક કરોડનો કળશ ઉત્તર પ્રદેશમાંથી મળી આવ્યો

09 September, 2025 09:05 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

એક નહીં, ત્રણ કળશ ચોરી કર્યા હોવાનું આરોપીએ કબૂલ્યું

જૈન સાધુના વેશમાં આવેેલો ચોર CCTV કૅમેરામાં પકડાઈ ગયો હતો.

દિલ્હીના લાલ કિલ્લામાંથી ચોરાઈ ગયેલો એક કરોડ રૂપિયાનો સોનાનો કળશ ગઈ કાલે ઉત્તર પ્રદેશના હાપુડમાંથી મળી આવ્યો છે. આ બનાવમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓએ જણાવ્યું હતું કે તેમણે કુલ ત્રણ કળશ ચોરી કર્યા હતા. એમાંથી ફક્ત એક જ કળશ મેળવવામાં પોલીસ સફળ રહી છે. પોલીસ અન્ય આરોપીઓ અને વધુ બે કળશને મેળવવા માટે દરોડા પાડી રહી છે. દિલ્હી ક્રાઇમ બ્રાન્ચની ઘણી ટીમો દિવસ-રાત કળશચોરોને શોધી રહી હતી.

જૈન સમુદાયના ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન ચોરાયેલા આ કળશમાં ૭૬૦ ગ્રામ સોનું અને ૧૫૦ ગ્રામ હીરા, નીલમ અને માણેક જડેલાં છે. દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા સંકુલના ૧૫ ઑગસ્ટ પાર્કમાં જૈન સમુદાયનો એક ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ સમય દરમ્યાન ચોરી થઈ હતી. ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું હતું કે જૈન સાધુના વેશમાં એક ચોર ખૂબ જ ચાલાકીથી પૂજાસ્થળ પર પહોંચ્યો અને હોશિયારીપૂર્વક કળશને તેની બૅગમાં મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો. સોના અને રત્નોથી જડિત આ કળશ જૈન સમુદાયના ધાર્મિક કાર્યક્રમોમાં દૈનિક પૂજાનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો.

new delhi delhi news jain community red fort Crime News national news news delhi police religion religious places uttar pradesh