પર્યુષણ મહાપર્વ ૨૦૨૫

19 August, 2025 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની પાવન નિશ્રામાં શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા વરલીના ડોમમાં યોજાશે

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજી

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની નિશ્રામાં વરલીના NSCI ડોમમાં ૨૦થી ૨૭ ઑગસ્ટ સુધી સવારે અને સાંજે પર્યુષણ મહાપર્વની ઉજવણી કરવામાં આવશે. આ ભવ્યાતિભવ્ય ઉજવણીઓમાં ભાગ લેવા માટે દેશભરમાંથી અને UK, USA, સિંગાપોર, ઑસ્ટ્રેલિયા, આફ્રિકા જેવા અનેક દેશોમાંથી આવી હજારો ભાવિકો શુદ્ધિ અને પવિત્રતાની ગહન અનુભૂતિ કરે છે અને સાથે જ વિશ્વભરના લાખો લોકો ઑનલાઇન જીવંત પ્રસારણ નિહાળીને ધન્ય થાય છે. આ ઉજવણીઓ એટલી અર્થપૂર્ણ, રસમય અને જોડાણનો અનુભવ કરાવનારી હોય છે કે મોટી સંખ્યામાં યુવાઓ એમાં જોડાય છે. જે યુવા વર્ગ સામાન્ય રીતે ધાર્મિક મેળાવડાઓથી દૂર ભાગે છે તેઓ અહીંની આરાધનામાં ભાગ લેવા આતુર હોય છે.

આ મહાપર્વની ઉજવણીમાં સવાર-સાંજ એમ બન્ને સમય પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીનાં સંવેગવર્ધક પ્રવચનોની શ્રેણીનો શ્રોતાજનોને લાભ મળશે, જે તેમની ધર્મની સમજણને વધુ સ્પષ્ટ અને ઊંડી બનાવશે. સવારનાં પ્રવચનો ‘નાટક સમયસાર’ના સંવર અધિકાર પર અને સાંજનાં પ્રવચનો શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃત : પાત્રાંક ૫૦૫ પર આધારિત ‘સંસાર રોગનું હિતકારી ઔષધ’ વિષય પર હશે. સવારની પવિત્ર આરાધનાની શરૂઆત થશે ભવ્ય મંગલમય સ્નાત્રપૂજાથી. સાંજની આરાધનાની શરૂઆતમાં ‘વધાવીએ પર્યુષણ મહાપર્વ’ - ભાવવાહી ભક્તિ,  રોમાંચક નાટ્યપ્રયોગ  - ‘એક આતમરાસી કી અનોખી કહાની’, બાળકો દ્વારા હૃદયસ્પર્શી પ્રસ્તુતિ – ‘ગૅલૅક્સી ઑફ ગ્રેસ’, પૂજ્ય ગુરુદેવશ્રીના ૬૦મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે થનારી ભવ્ય ઉજવણીની યોજનાનું વૈશ્વિક અનાવરણ, ભગવાન મહાવીરના જન્મોત્સવની ઉજવણીઓ, ધ્યાનયાત્રા, ‘જયવીરાય સૂત્ર પારાયણ - પરમાત્મા પ્રત્યે ૧૩ પ્રાર્થના’ વગેરે વિવિધ ભક્તિમય પ્રસ્તુતિઓ સમગ્ર આરાધનાને ધર્મોલ્લાસથી ભરી દેશે.

૨૩ ઑગસ્ટ શનિવારે બપોરે ૧.૦૦થી ૪.૩૦ વાગ્યા દરમ્યાન ૬થી ૧૧ વર્ષ અને ૧૨થી ૧૬ વર્ષનાં બાળકો માટે ખાસ ‘આઇ લવ પર્યુષણ’નાં આનંદદાયક અને ઇન્ટરૅક્ટિવ સત્રો યોજાશે.

૨૭ ઑગસ્ટે બુધવારે સાંવત્સરિક આરાધના સવારે ૯.૩૦થી ૧૨.૦૦ વાગ્યા સુધી હશે જેમાં સ્નાત્રપૂજા અને પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન હશે. બપોરે ૩.૦૦થી ૬.૦૦ વાગ્યે ક્ષમાપના દ્વારા સ્વયંને શુદ્ધ કરતી સાંવત્સરિક આલોચના હશે. 

પર્યુષણ પર્વના પવિત્ર દિવસોમાં મુમુક્ષુઓ સવારે સેવાપૂજા અને સાંજે આરતીનો લાભ લઈ શકે એ માટે NSCIમાં જિનમંદિરની વ્યવસ્થા કરવામાં આવી છે. સવાર-સાંજ ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. ૧૨ ર્ષથી નીચેનાં બાળકો અને તેમના વાલીઓ જીવંત પ્રસારણ જોઈ શકે એ માટે એક અલગ ઝોન ફાળવવામાં આવ્યો છે.

મુંબઈમાં કોસ્ટલ રોડને કારણે હવે વરલી પહોંચવાનું અત્યંત સરળ બની ગયું છે. NSCIના બેઝમેન્ટમાં વિશાળ કાર-પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રેનમાં આવનારા ભાવિકો માટે મુંબઈ સેન્ટ્રલ, ભાયખલા અને મહાલક્ષ્મી સ્ટેશનથી ખાસ નિઃશુલ્ક શટલ વ્યવસ્થા રાખવામાં આવી છે અને સાથે જ સેન્ટ્રલ તથા વેસ્ટર્ન મુંબઈથી રાહતના દરે બસની વ્યવસ્થા રાખવામાં આવી છે.

પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની નિશ્રામાં યોજાનારી આ ૮ દિવસની આધ્યાત્મિક યાત્રા વીતરાગ ધર્મની વિરાટતા અને સૂક્ષ્મતાનું દર્શન કરાવીને શ્રોતાજનોને મોક્ષયાત્રામાં વધુ એક ડગ આગળ ચલાવશે.

વધુ માહિતી માટે +91 9920058000 નંબર પર  ‘P’ વૉટ્સઍપ કરો.

વિદ્યાવિહારમાં આવતી કાલથી જૈન ચોવિહાર ઘર

પર્યુષણ મહાપર્વ દરમ્યાન નિહિર શાહ, વિમેશ અવલાણી અને અમિત શાહ દ્વારા ૨૦થી ૨૭ ઑગસ્ટ દરમ્યાન લંચ રૂમ, પોડિયમ લેવલ પાર્કિંગ, નીલકંઠ બિઝનેસ પાર્ક, વિદ્યાવિહાર-વેસ્ટમાં જૈન ચોવિહાર ઘરનું ફરી આયોજન કરવામાં આવ્યું છે. એનો સમય સાંજે ૪.૦૦થી ૬.૩૦ વાગ્યાનો હશે. એ માટે સવારે ૧૦.૩૦થી સાંજે ૫.૩૦ વાગ્યા દરમ્યાન કલ્પેશ શાહનો ૯૮૧૯૦ ૯૭૯૦૧ નંબર પર સંપર્ક કરવો. ચોવિહાર ઘર રવિવારે અને છેલ્લા દિવસે બંધ રહેશે.

jain community worli gujaratis of mumbai gujarati community news festivals news mumbai mumbai news religion religious places