11 June, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ
Maharashtra : મહારાષ્ટ્રમાં મરાઠી માણુસના કહેવાતા અપમાનને લઈને ઉદ્ધવ જૂથના શિવસૈનિકોએ સરકારી બૅન્કમાં હોબાળો કર્યો અને એક અધિકારીને લાફો માર્યો.
મહારાષ્ટ્રમાં (Maharashtra) આગામી સ્થાનિક અને નગર નિગમની ચૂંટણી પહેલા મરાઠી ભાષાને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. મુંબઈમાં મરાઠી વર્સિસ બિન મરાઠી વિવાદ હવે રાજ્યના અન્ય શહેરો સુધી પણ પહોંચી રહ્યો છે. તાજેતરની ઘટના ધુળે શહેરની છે, જ્યાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના પદાધિકારીઓએ એક બૅન્ક અધિકારીને બધાની સામે લાફો મારી દીધો. આ ઘટના સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (SBI)ની પ્રમોદનગર બ્રાન્ચમાં ઘટી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હકીકતે, બ્રાન્ચ મેનેજર અતુલ ગાંધી પર આરોપ છે કે તેમણે ITI મહિલા પ્રોફેસર મરાઠી હોવાને કારણે તેમની સાથે અપમાનજનક વર્તન કર્યું હતું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાંધીએ કથિત રીતે મરાઠી ભાષા અને મરાઠી સમુદાયનું અપમાન કર્યું છે. શિવસેના (UBT) ના કાર્યકરોને આ અંગે માહિતી મળતાં જ તેઓ તાત્કાલિક SBI શાખામાં પહોંચ્યા. ત્યાં, બૅન્કના લોન વિભાગના કેટલાક કર્મચારીઓએ મહિલા પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કર્યો અને બૅન્ક મેનેજરનો પક્ષ લીધો. આનાથી ગુસ્સે થઈને, ઉદ્ધવ જૂથના મહાનગર વડા ધીરજ પાટીલે જાહેરમાં લોન અધિકારી સદાશિવ અજગેને થપ્પડ મારી દીધી. આ દરમિયાન, પાર્ટીના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા અને બ્રાન્ચમાં હોબાળો મચાવ્યો.
કાર્યવાહી કરવાની માગ
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના અંગે બૅન્ક કર્મચારીઓમાં રોષ છે. જો કે, ઉદ્ધવ જૂથના શિવસૈનિકો આ સમગ્ર ઘટના માટે બ્રાન્ચ મેનેજર અતુલ ગાંધીને જવાબદાર ઠેરવી રહ્યા છે અને તેમની સામે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. તે જ સમયે, બૅન્ક વહીવટીતંત્ર તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
મરાઠી ભાષાનો મુદ્દો ફરી ઉછળ્યો
નોંધનીય છે કે ગયા મહિને, મનસે (Maharashtra Navnirman Sena) વડા રાજ ઠાકરેના નિર્દેશ પર, મનસે નેતાઓએ બૅન્કોમાં મરાઠી ભાષાના ઉપયોગ સામે વિરોધ કર્યો હતો, ત્યારબાદ રાજ્યના રાજકારણમાં આ મુદ્દો ફરી ગરમાયો છે. હવે ધુળેમાં બનેલી આ ઘટનાએ મરાઠી વિરુદ્ધ બિન-મરાઠી વિવાદને વધુ વેગ આપ્યો છે. જોકે, સ્થાનિક વહીવટીતંત્ર આ બાબત પર નજર રાખી રહ્યું છે.
ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) વચ્ચે વધતી જતી નિકટતાએ ગઠબંધનની અટકળોને વેગ આપ્યો છે. આદિત્ય ઠાકરેએ રવિવારે કહ્યું હતું કે તેમનો પક્ષ મહારાષ્ટ્ર અને મરાઠી માણુસના હિતોનું રક્ષણ કરવા માટે કામ કરતી કોઈપણ પાર્ટી સાથે મળીને કામ કરવા તૈયાર છે.