02 April, 2021 05:15 PM IST | Ahmedabad | Shailesh Nayak
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતમાં દિવસે-દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લાના મલાતજ તેમ જ પણસોરા ગામે બપોર પછી ગામની તમામ દુકાનો બંધ રાખી આંશિક લૉકડાઉન કરવા માટે ગ્રામપંચાયત અને ગામજનોએ સ્વૈચ્છિક નિર્ણય કર્યો છે. ગઈ કાલે પણ ગુજરાતમાં કોરોનાના કુલ ૨૪૧૦ કેસ નોંધાયા હતા અને ૯ દરદીઓનાં મૃત્યુ થયાં હતાં. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઉછાળો આવતાં આણંદ જિલ્લાનાં બે ગામોએ પહેલ કરીને બપોર બાદ ગામની દુકાનો બંધ રાખીને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરાહનીય પ્રયાસ હાથ ધર્યો છે.
પણસોરા ગ્રામપંચાયતે જાહેર કર્યું હતું કે ગામમાં આવેલાં કૉમ્પ્લેક્સ, તમામ હોટેલો, રેસ્ટોરાં, ખાણી-પીણીનાં સ્થળો, પાનના ગલ્લા, શાકભાજીની લારીઓ તથા ઠંડાં પીણાં, આઇસક્રીમ, શેરડીનો રસ, કેરીના રસની દુકાનોમાં કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા માટે પણસોરા ગામમાં ૧૫ એપ્રિલ સુધી સવારે ૬ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખી શકાશે, પરંતુ બપોરે એક વાગ્યાથી દુકાનો સદંતર બંધ કરવા માટે પણસોરા ગ્રામપંચાયત દ્વારા સૂચના અપાઈ છે.