30 July, 2025 11:12 AM IST | Surat | Gujarati Mid-day Correspondent
સુરતમાં ફૂલો સહિતના પૂજાપાને એકત્ર કરી એને છૂટો પાડવામાં આવી રહ્યો છે.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આવકારદાયક પહેલ કરીને શહેરનાં મંદિરો, દેરાસરો, દરગાહમાંથી ફૂલો, પૂજાપાને એકઠો કરીને ખાતર બનાવવામાં આવી રહ્યું છે. આ ખાતરનો ઉપયોગ શહેરના બાગ-બગીચા અને રોડનાં ડિવાઇડરો વચ્ચે વૃક્ષ-છોડના ઉછેર માટે કરવામાં આવી રહ્યો છે.
ફૂલો, પૂજાપામાંથી બનાવાતા ખાતરની પ્રોસેસ.
સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને ૨૦૧૭માં ચોકબજારમાં તેમ જ ૨૦૧૮થી કતારગામ, સિંગણપોરમાં ફૂલો, પૂજાપાના વેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન્ટ શરૂ કર્યો છે. કતારગામ, સેન્ટ્રલ, રાંદેર અને અઠવા ઝોનનાં અંદાજે ૨૯૭ ધાર્મિક પરિસરમાંથી રોજ ૭૦૦ કિલો જેટલો ફૂલ-પાન સહિતનો કચરો એકત્રિત કરવામાં આવે છે જેને છૂટો પાડીને ગ્રીન વેસ્ટને ગાયના છાણ સાથે ૬૦ઃ૪૦ના રેશિયોમાં ભેગો કરી પ્રોસેસ કરીને ખાતર તૈયાર કરવામાં આવે છે. પ્લાન્ટમાં બનેલા ખાતરને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના ગાર્ડન વિભાગને આપવામાં આવે છે અને તેમના દ્વારા શહેરના બાગ-બગીચા તેમ જ ડિવાઇડરોની વચ્ચે થતાં છોડ-વૃક્ષમાં આ ખાતરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે આ પ્લાન્ટમાં ૨.૩૦ લાખ કિલો ફૂલોના વેસ્ટમાંથી ૭૦,૦૦૦ કિલો ખાતર બનાવ્યું હતું.