02 September, 2025 10:40 AM IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
ડાંગના ચિંચીના ગાવઠા ગામે ખુલ્લા મુકાયેલા હનુમાનજી મંદિર ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો.
શ્રી રામ કૃષ્ણ (SRK) નૉલેજ ફાઉન્ડેશન અને શ્રી રામ કૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા ડાંગ જિલ્લામાં ૩૧૧ હનુમાન મંદિર બનાવવાના સંકલ્પ અંતર્ગત વધુ ૮ હનુમાન મંદિરોને રવિવારે ડાંગ જિલ્લાના પિંપરી ગામેથી ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લોકાર્પણ કર્યાં હતાં. ચિંચીનાં ગાવઠા ગામ ઉપરાંત ગૌર્યા, નડગખાદી, કુડકસ, ચનખલ, સુકમાળ, દીવાન ટેમ્બરુન અને આવળયામાળ ગામે હનુમાન મંદિરો ખુલ્લાં મુકાયાં હતાં.
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ, અયોધ્યાના જનરલ સેક્રેટરી ચંપતરાય, પી. પી. સ્વામી, રાજ્યસભાના સંસદસભ્ય અને SRK ફાઉન્ડેશનના સ્થાપક ગોવિંદ ધોળકિયા, પદ્મશ્રી સવજી ધોળકિયા સહિતના મહાનુભાવો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં ડાંગમાં નવાં ૮ મંદિરોને લોકાર્પણ કરવાનો સમારોહ યોજાયો હતો.