Health Funda: આજકાલ યુવાનોમાં બ્લડ પ્રેશરની સમસ્યા વધી છે તેના પાછળ અનેક કારણો જવાબદાર છે; જોકે, દૈનિક જીવનમાં અમુક બાબતોનું ધ્યાન રાખવાથી કે માત્ર નજીવા ફેરફાર કરવાથી બ્લડ પ્રેશર બહુ સરળતાથી કન્ટ્રોલમાં લાવી શકાય છે
તસવીર ડિઝાઇનઃ કિશોર સોસા
સુંદર અને ટકાઉ ઘર બનાવવા મજબૂત પાયો, સારી અને યોગ્ય સામગ્રી તેમજ કુશળ કામદારોની જરૂર પડે છે તેમ આપણા શરીરનું સર્વાંગી સ્વાસ્થ્ય જળવાય તે માટે ખોરાક, કસરત અને મનની સ્વસ્થતા જરૂરી છે. ખોરાક આપણા શરીરને ઊર્જા આપે છે. નિયમિત કસરત શરીરને મજબૂત બનાવે છે, સાથે સાથે મનને તેજ અને તણાવમુક્ત રાખે છે. આમ સર્વાંગી સ્વાસ્થ્ય માટે તન અને મન બન્ને સ્વસ્થ હોવા ખૂબ જરુરી છે. સોશ્યલ મીડિયા જ્યારે આંગળીના ટેરવે છે ત્યારે સરળતાથી માહિતી મળી જાય કે, સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું ખાવું જોઈએ? ડાયટિંગમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું? કઈ કસરત કરવી જોઈએ? માનસિક શાંતિ માટે શું જરુરી છે? વગેરે વગેરે બધી જ માહિતી મળી જાય છે. પરંતુ વ્યક્તિ દીઠ દરેક બાબત જુદી-જુદી હોય છે. પણ સર્વાંગી સ્વાસ્થ્યને લગતી કેટલીક બાબતો બહુ કૉમન હોય છે. તમને મૂંઝવણ થતી હોય કે સુખાકારી અને સર્વાંગી સ્વાસ્થ્ય માટે શું કરવું તો ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારી માટે લઈને આવ્યું છે – ‘હેલ્થ ફંડા’ (Health Funda). જેમાં દર શનિવારે ‘હેલ્થ એન ફૂડવિલા’ (Health n Foodvilla)નાં ડાયટિશન અને ફૂડ ન્યુટ્રિશનિસ્ટ, હોલિસ્ટિક ફંક્શનલ હેલ્થ કૉચ ડૉ. રિશિતા બોચિયા જોષી (Dr. Rishita Bochia Joshi) ખોરાક, શારિરીક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્યને લગતા વિષયો પર આપણી સાથે વાત કરશે.
આજના ‘હેલ્થ ફંડા’ના એપિસોડમાં ડૉ. રિશિતા બોચિયા જોષી વાત કરે છે, અત્યારે યુવાનોમાં બ્લડ પ્રેશર (Blood Pressure) શા માટે વધી રહ્યું છે? બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવાના ઘરગથ્થુ ઉપાય કયા?
થોડા સમય પહેલા, બ્લડ પ્રેશર માત્ર વૃધ્ધોને જ થાય એવું મનાતું. ‘બ્લડ પ્રેશર’ની સમસ્યા માત્ર સિનિયર સિટિઝન સુધી જ સિમિત હતી. પરંતુ હવે, ધીમે ધીમે તે સમસ્યા ૩૦-૪૦ વર્ષની ઉંમરના લોકોમાં સામાન્ય બની ગઈ છે. માત્ર હાઈ બ્લડ પ્રેશર જ નહીં, પરંતુ વધઘટ થતી રીડિંગ્સ વધુ ચિંતાજનક બાબત છે. બ્લડ પ્રેશર રીડિંગ્સ દિવસ દરમિયાન થોડા-થોડા કલાકમાં માપવામાં આવે તો તે સતત ઉપર-નીચે થયા કરે છે. જેનાથી ઘણા લોકો મૂંઝવણમાં મુકાઈ જાય છે અને મોટાભાગના લોકો એક જ પ્રશ્ન પૂછે છે, ઘરનું ભોજન ખાધા પછી અને તબિયતમાં સારું લાગવા છતાં આવું કેમ થઈ રહ્યું છે?! બીપીમાં વધઘટ કેમ થઈ રહી છે?!
બ્લડ પ્રેશરમાં આટલી બધી વધઘટ કેમ થાય છે?
- એક સૌથી મોટું કારણ ક્રોનિક સ્ટ્રેસ છે. લાંબા ઓફિસ કલાકો, નોનસ્ટોપ વાગતા ફોન નોટિફિકેશન્સ, કામ અને પર્સનલ જીવન વચ્ચે કોઈ બેલેન્સ નહીં અને સતત માનસિક દબાણ શરીરને સતર્ક રાખે છે. જ્યારે આવું થાય છે, ત્યારે કોર્ટિસોલ જેવા તણાવ હોર્મોન્સ ઊંચા રહે છે. સમય જતાં, આ રક્તવાહિનીઓ કડક બને છે અને તે બ્લડ પ્રેશરમાં વધારો કરે છે.
- અનિયમિત ખાવાની ટેવ પણ બ્લડ પ્રેશરને અસર કરે છે. મિલ્સ સ્કિપ કરવા, મોડી રાત્રે વધુ પડતું ખાવું, વધુ પડતી ચા કે કોફી પીવી, સોડિયમથી ભરપૂર પેકેજ્ડ ખોરાક અને પોટેશિયમનું ઓછું સેવન શરીરના પ્રવાહી સંતુલનને ખલેલ પહોંચાડે છે.
- યોગ્ય ઊંઘનો અભાવ એ પણ બીપી વધવાનું એક કારણ છે. જ્યારે છથી સાત કલાકથી ઓછ ઊંઘ સવારના બ્લડ પ્રેશરમાં વધારો કરે છે, તેથી હૃદય અને રક્ત વાહિનીઓને રિપેર અને રીસેટ કરવા માટે પૂરતો સમય મળતો નથી.
- બીપી વધવાનું વધુ એક કારણ, બેઠાડુ જીવનશૈલી છે. લાંબા સમય સુધી બેસી રહેવાથી રક્ત પરિભ્રમણ કાર્યક્ષમતા ઓછી થાય છે, ધમનીઓ કડક બને છે અને હૃદયની સ્થિતિ નબળી પડે છે. જો કોઈ આખું અઠવાડિયું નિષ્ક્રિય રહે છે અને સપ્તાહના અંતે અચાનક તીવ્ર કસરત કરે છે, તો તે સ્થિર સુધારાને બદલે બ્લડ પ્રેશરમાં સ્પાઇક્સનું કારણ બની શકે છે.
- છેલ્લે, ડિહાઇડ્રેશનને ઘણીવાર અવગણવામાં આવે છે. પ્રવાહીનું થોડું નુકસાન પણ લોહીને થોડું જાડું બનાવે છે, જેના કારણે હૃદય વધુ ઝડપથી પંપ કરે છે.
બ્લડ પ્રેશરને નિયંત્રણમાં લાવવા શું કરવું?
- બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવાનો અર્થ હંમેશા આત્યંતિક પગલાં લેવાનો અથવા અચાનક મોટા ફેરફારો કરવાનો નથી. ઘણા કિસ્સાઓમાં, ઘરે નિયમિતપણે કરવામાં આવતી સરળ આદતો ખરેખર ફરક લાવી શકે છે.
- પોટેશિયમથી ભરપૂર ખોરાકથી શરૂઆત કરો, જે સોડિયમને સંતુલિત કરવામાં મદદ કરે છે. કેળા (નાના), નાળિયેર પાણી, પલાળેલ કિસમિસ, કોળું, દુધી, પાલક અને દહીં નિયમિતપણે ખાઓ.
- મેગ્નેશિયમ અને ફાઇબર રક્ત વાહિનીઓને આરામ આપે છે. એટલે બદામ અને અખરોટ, સીડ્સ, આખા અનાજ અને શાકભાજી તમારા જમવામાં ઉમેરો. બીટરૂટ, દાડમ, ડાર્ક ચોકલેટ - હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટે ઉત્તમ છે.
- મીઠાનો ઉપયોગ સભાનપણે કરો, ડરથી નહીં.
- પેકેજ્ડ નાસ્તા, અથાણાં, ચટણીઓ, બેકરીની વસ્તુઓ અને ઇન્સ્ટન્ટ ફૂડ્સ ટાળો.
- લસણનો ખાસ ઉપયોગ કરવો જોઈએ.
- સવારે એક થી બે લવિંગને પીસીને ગરમ પાણી સાથે પીવાથી રક્તવાહિનીઓને આરામ મળે છે.
- દરરોજ ૫-૧૦ મિનિટ માટે ધીમા શ્વાસ લેવાનો અથવા પ્રાણાયામ કરવાનો અભ્યાસ કરો - આનાથી જ સિસ્ટોલિક દબાણ કુદરતી રીતે ઓછું થઈ શકે છે.
- હલનચલન પણ એટલી જ જરૂરી છે. ભોજન પછી, ખાસ કરીને રાત્રિભોજન પછી ૧૦-૧૫ મિનિટ ચાલવાથી રક્ત પરિભ્રમણ અને ખાંડ નિયંત્રણમાં સુધારો થાય છે - બંને બ્લડ પ્રેશર સ્થિરતા સાથે ગાઢ રીતે જોડાયેલા છે.
- સાંજે ૪ વાગ્યા પછી કેફીનનું સેવન મર્યાદિત કરો.
આટલું રાખો ધ્યાન
- દરરોજ એક જ સમયે બ્લડ પ્રેશર તપાસો - ચિંતામાં વારંવાર નહીં.
- બ્લડ પ્રેશરનું સંચાલન કઈ રીતે કરવું, તે વિચારીને ડરવાની કે ચિંતા કરવાની જરુર નથી. દિનચર્યામાં અમુક બાબતોનું ધ્યાન રાખવાની જરુર છે; જેમ કે, સમયસર ખાવું, સારી ઊંઘ લેવી, દરરોજ થોડું થોડું હલનચલન કરવું અને શાંત રહેવું.
જ્યારે તમારી દૈનિક જીવનશૈલી વધુ સંતુલિત અને સુસંગત બને છે, ત્યારે તમારું બ્લડ પ્રેશર ઘણીવાર તેની જાતે જ સ્થિર થવા લાગે છે.
(શબ્દાંકનઃ રચના જોષી)