12 June, 2022 02:52 PM IST | Mumbai | Ruchita Shah
ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રીના સેક્રેટરી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચા
‘યોગ ફૉર હ્યુમૅનિટી’ની થીમ સાથે આ વર્ષે ૨૧ જૂને યોજાનારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમને અચંબામાં મૂકી દે એવા અઢળક ઇનોવેટિવ કાર્યક્રમો આયુષ મિનિસ્ટ્રીએ યોજ્યા છે. એ સિવાય WHO અને ભારત સરકાર દ્વારા ટ્રેડિશનલ મેડિસિનનું કોઈ પણ વિકાસશીલ દેશમાં પહેલું કહી શકાય એવું ગ્લોબલ રિસર્ચ સેન્ટર જામનગરમાં તૈયાર થઈ રહ્યું છે, યોગ-આયુર્વેદની પ્રોડક્ટ્સ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટાન્ડર્ડાઇઝેશનની પ્રોસેસ ચાલી રહી છે, યોગ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આવાં એક-બે નહીં પણ અઢળક દૂરંદેશીપૂર્ણ ડેવલપમેન્ટ્સ આકાર લઈ રહ્યાં છે ત્યારે આ સંદર્ભમાં ભારત સરકારની આયુષ મિનિસ્ટ્રીના સેક્રેટરી પદ્મશ્રી વૈદ્ય રાજેશ કોટેચાએ ‘મિડ-ડે’ સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીત અહીં પ્રસ્તુત છે
દુનિયાના લગભગ ૧૭૦ કરતાં વધુ દેશો બહુ જ મોટા પાયે એક મહોત્સવની જેમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું સેલિબ્રેશન કરવા માંડ્યા છે. પહેલાં કોવિડ અને હવે યુદ્ધના માહોલ વચ્ચે આ વર્ષે ‘યોગ ફૉર હ્યુમૅનિટી’ની વિશિષ્ટ થીમ સાથે ૨૧ જૂને યોગ દિવસનું વિશિષ્ટ સેલિબ્રેશન થવાનું છે અને એની ઇર્દગિર્દ આયુષ મિનિસ્ટ્રી દ્વારા અઢળક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. બીજી બાજુ યોગ, આયુર્વેદ, નેચરોપથી, યુનાની, હોમિયોપથી જેવી ટ્રેડિશનલ ઉપચારપદ્ધતિઓને જન-જન સુધી પહોંચાડવાનું પહેલાં ક્યારેય નહોતું થયું એવું કામ થઈ રહ્યું છે અને લૉન્ગ ટર્મ ડેવલપમેન્ટને લગતા નિર્ણયો લેવાઈ રહ્યા છે ત્યારે એ સંદર્ભમાં પદ્મશ્રી અવૉર્ડથી નવાજાયેલા આયુષ મિનિસ્ટ્રીના સેક્રેટરી વૈદ્ય રાજેશ કોટેચાએ ‘મિડ-ડે’ સાથે કરેલી વિશેષ વાતચીતનો નિચોડ અહીં પ્રસ્તુત છે.
માનવતા માટે યોગ?
યોગનો અર્થ જ છે જોડાણ. પરસ્પર અનુસંધાનનો ભાવ હોય તો આપમેળે વ્યક્તિમાં એકબીજા પ્રત્યેની સહાનુભૂતિ જાગી જાય. ‘યોગ ફૉર હ્યુમૅનિટી’ થીમ પાછળ પણ વનનેસનો એ મેસેજ વિશ્વ આખાને આપવાની આપણે કોશિશ કરી છે એમ જણાવીને વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘વસુધૈવ કુટુંબકમની આપણી સંસ્કૃતિ છે. આખું વિશ્વ એક પરિવાર હોય ત્યારે યોગ થકી આખા વિશ્વને જોડવામાં આપણે બહુ મોટી ભૂમિકા ભજવી શકીએ. યોગ એક્યભાવ શીખવે છે. અષ્ટાંગ યોગની ફિલોસૉફી પણ સરળતાથી વ્યક્તિને ભેદભાવોથી મુક્ત કરે છે. માનવતાના મૂળમાં યોગ છે. વ્યક્તિ, સમાજ, રાષ્ટ્ર, વિશ્વને એક દિશામાં લઈ જવાનું કામ યોગ કરી શકે છે. આપણે તો જાણીએ છીએ કે યોગથી સત્ત્વગુણની વૃદ્ધિ થાય છે. યુદ્ધના માહોલમાં યોગની જીવનશૈલી અપનાવે તો પ્રત્યેક વ્યક્તિમાં સ્વાસ્થ્યની સાથે પ્રેમ, અહિંસા, સહિષ્ણુતા, સહાનુભૂતિ, સંવેદનશીલતા જેવા ગુણો આપમેળે વિકસતા હોય છે. માનવતાની વાત વધુ ને વધુ લોકોના હૃદયમાં દૃઢ બને એની અત્યારે જરૂરિયાત દેખાય છે અને યોગથી એ સંભવ છે અને એટલે જ આ વર્ષની IDY (ઇન્ટરનૅશનલ ડે ઑફ યોગ) ની થીમ પણ ‘યોગ ફૉર હ્યુમૅનિટી’ છે.’
શું ખાસ હશે?
આ વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મૈસુરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે હાજરી આપવાના છે. સાથે આપણો દેશ આઝાદીના અમૃત વર્ષની ઉજવણી પણ કરી રહ્યો છે. એ દૃષ્ટિએ ‘યોગ ફૉર હ્યુમિનિટી’ની થીમ સાથે ઘણાં અનોખાં આયોજનો વૈશ્વિક સ્તરે આ વર્ષના યોગ દિવસ નિમિત્તે આવરી લીધાં છે. એનું ઉદાહરણ આપતાં વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘આપણે ‘ગાર્ડિયન રિંગ’ નામનું એક આયોજન કર્યું છે જેમાં IDYના રોજ વિશ્વના પૂર્વથી પશ્ચિમ સુધી જુદા-જુદા દેશોમાં સૂર્યોદયના સમયે યોગ થશે. એટલે કે આપણા ટાઇમ ઝોન પ્રમાણે સૌથી પહેલો સૂર્યોદય ન્યુ ઝીલૅન્ડમાં થતો હોય તો સવારે ત્રણ વાગ્યે ત્યાં, એ પછી જપાન, એ પછી લાઇનસર જે-જે દેશમાં ટાઇમઝોન પ્રમાણે સૂર્યોદય થતો હોય ત્યાં-ત્યાં યોગાભ્યાસ થશે અને છેલ્લે રાતે દસ વાગ્યે સાઉથ અમેરિકામાં સૂર્યોદય થાય છે એટલે ત્યાં એ સમયે યોગાભ્યાસ થશે. આમ કુલ ૮૮ દેશો આમાં ભાગ લેશે. આખો દિવસ દૂરદર્શન ચૅનલ પર આ કાર્યક્રમ ટેલિકાસ્ટ થશે. જુદા-જુદા દેશના લોકો, ત્યાંનાં યોગ ગ્રુપ્સ ત્યાંની એમ્બેસી સાથે મળીને આ પ્રોગ્રામ કરશે. એવી જ રીતે બીજો એક પ્રોગ્રામ છે નેકલેસ ઑફ ડાયમન્ડ. ભારત શ્રીલંકા, ઈરાન જેવા દેશો સાથે દરિયાઈ વ્યાપારના સંબંધ ધરાવે છે એને ધ્યાનમાં રાખીને ભારતની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં જે-તે દેશોના પોર્ટમાં યોગોત્સવ કરી રહ્યા છીએ આપણે. સહિયારી શાંતિ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનો મેસેજ પહોંચાડવાનો આ પ્રયાસ છે.’
મૈસુરમાં યોજાનારા પ્રોગ્રામની વિશેષતા વિશે વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘મૈસુરમાં એ દિવસે ફિઝિકલ અને ડિજિટલ એમ બે પ્રકારનાં એક્ઝિબિશન યોજાશે. એમાં યોગનો ઇતિહાસ અને એની ઉપયોગિતા, એમાં કારકિર્દીની તકો, રોગમુક્તિને લગતાં સર્વેક્ષણો વગેરેની વિગતો તો હશે જ; પણ એને ઇન્ટરૅક્ટિવ અને ઇન્ટરેસ્ટિંગ બનાવે એવાં પણ કેટલાંક એલિમેન્ટ્સ અમે મૂક્યાં છે. જેમ કે કૉન્સન્ટ્રેશન મીટર જેવી એક સિસ્ટમ ત્યાં મૂકવામાં આવી છે જેમાં તમે મેડિટેશન માટે કૉન્સન્ટ્રેશન કેટલું ઝડપથી કરી શકો એનાં એક, બે, ત્રણ લેવલની તમને ત્યાં પ્રૅક્ટિકલી
ખબર પડે. બીજું, પ્રધાનમંત્રીજીના ઍનિમેટેડ વિડિયો સાથે યોગ ચૅલેન્જ ત્યાં હશે જેમાં તમારે એ વિડિયો સાથે મૅચ કરીને આસન કરવાનું અને તમે પર્ફેક્ટ્લી કરી શકો તો તમને પ્રધાનમંત્રીજી સાથેનો એક ફોટો મળે. એવી જ રીતે યુનેસ્કોની વૉલ પર વિશ્વશાંતિ માટે યોગની ભૂમિકા પર ફોટો એક્ઝિબિશન કરવામાં આવશે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારતની ૭૫ આઇકૉનિક જગ્યાઓ પર કૉમન યોગ પ્રોટોકૉલ કરાવવામાં આવશે. દરેક રાજ્યમાં પણ એ રીતે એવી ૭૫ આઇકૉનિક જગ્યાનું સિલેક્શન કરીને ત્યાં યોગાભ્યાસ કરાવવામાં આવશે. દેશનું ગૌરવ વધારવા માટે આ કાર્યક્રમ મહત્ત્વપૂર્ણ છે. એ સિવાય માય ગવર્નમેન્ટ પોર્ટલ પર ક્વિઝ, ટ્રાવેલલૉગ, પઝલ્સ, જિંગલ્સ, ડિસ્કશન્સ વગેરેનું આયોજન છે. ગામેગામ યોગને પહોંચતો કરવા માટે કૉમન સર્વિસ સેન્ટર દ્વારા યોગ વૉલન્ટિયર્સને કૉમન યોગ પ્રોટોકૉલ માટે ટ્રેઇન કરવાની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી છે.’
આયુષ હૉસ્પિટલ અને સેન્ટર
થોડા સમય પહેલાં દિલ્હી સરકારે ઠેર-ઠેર યોગ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર સરકારે પણ આવી જ એક જાહેરાત કરી છે ત્યારે એ સ્કીમ વિશે વાત કરતાં વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘આયુષની નૅશનલાઇઝ્ડ સ્કીમ છે જેમાં દર વર્ષે લગભગ ૭૦૦થી ૮૦૦ કરોડ રૂપિયાની હેલ્પ આયુષ મિનિસ્ટ્રી વિવિધ રાજ્ય સરકારોને કરે છે. સ્કીમ પ્રમાણે યોગ કે નેચરોપથી સેન્ટર શરૂ કરવા માટે ૬૦:૪૦ના રેશિયોથી રાજ્યોને કેન્દ્ર સરકાર મદદ કરે છે. એમાં જો કોઈ યોગ સેન્ટર શરૂ કરો તો ૪૦ ટકા ફન્ડ રાજ્ય સરકારે આપવાનું અને ૬૦ ટકા કેન્દ્ર સરકાર આપે. પહાડી રાજ્યો અને નૉર્થ ઈસ્ટ માટે આ રેશિયો ૯૦:૧૦નો છે એટલે કે નેવું ટકા ફન્ડ કેન્દ્ર સરકાર આપે અને દસ ટકા રાજ્ય સરકારે આપવાના. એ સિવાય આયુષ પદ્ધતિથી સારવાર આપતી હૉસ્પિટલનું નેટવર્ક પણ અમે વધારી રહ્યા છીએ. અત્યારે લગભગ ૨૫૦ જિલ્લાઓમાં ૫૦ બેડની હૉસ્પિટલો શરૂ થઈ ગઈ છે અને ખૂબ સારો રિસ્પૉન્સ છે. ડિસ્ટ્રિક્ટ લેવલ પર પ્રાઇમરી, સેકન્ડરી અને ટેરિટરી કૅર એમ ત્રણેય લેવલની કૅર ઉપલબ્ધ થાય એ દિશામાં કામ ચાલુ છે. જામનગર, દિલ્હી, જયપુર જેવી જગ્યાઓએ ત્રણસો બેડની હૉસ્પિટલો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ સેન્ટરો પર ઍવરેજ બેથી ત્રણ હજાર દરદીઓ રોજના ઓપીડીમાં આવે છે. મૉડર્ન મેડિસિનની તુલનાએ આ દવાનો ખર્ચ ઓછો છે અને લોકોની વિશ્વસનીયતા છેલ્લા થોડાક અરસામાં એના તરફ વધી છે જે આ બિહેવિયર ચેન્જમાં રિફ્લેક્ટ થવી શરૂ થઈ છે. ઑનરેબલ પ્રાઇમ મિનિસ્ટરનું હૅન્ડ-હોલ્ડિંગ, સરકારને સહકાર અને લોકોના વિશ્વાસથી આ દિશામાં ઘણા સ્તરે પદ્ધતિસર કામ શરૂ થયું છે.’
પાછળ વળીને જોવાનું નથી હવે
કોવિડના સમયગાળામાં આયુષની પદ્ધતિની અકસીરતાનો માત્ર ભારતના જ નહીં પણ દુનિયાભરના દેશના લોકોએ ભરપૂર લાભ લીધો છે અને આંકડાઓ પણ એની શાખ પૂરે છે. વૈદ્ય રાજેશ કોટેચા કહે છે, ‘વર્ષ ૨૦૧૪માં