તમારા જ પ્લેટલેટ્સ તમારી ખરતા વાળની સમસ્યાને રોકશે

23 January, 2024 08:48 AM IST  |  Mumbai | Heena Patel

ઇનિશ્યલ સ્ટેજમાં વાળ ખરવાથી ટાલ જેવું પડતું હોય ત્યારે આ ટ્રીટમેન્ટ ઘણી અસરકારક છે,

પ્રતીકાત્મક તસવીર

બિગ બૉસની બહુચર્ચિત અંકિતા લોખંડે એ હાઉસમાં રહ્યે-રહ્યે પણ પીઆરપી હેર ટ્રીટમેન્ટ કરાવવાનો બ્રેક લઈ રહી હતી એ બાબત જબરી વિવાદમાં સપડાઈ હતી. વાળ ખરવાને લીધે પાતળા થઈ જતા હોય કે અમુક જગ્યાએથી સ્કૅલ્પ દેખાવા લાગતું હોય ત્યારે આ પીઆરપી હેર ટ્રીટમેન્ટ બહુ સસ્તો અને શરૂઆતના તબક્કામાં ઘણો જ અસરકારક કીમિયો બની શકે છે. ચાલો જાણીએ આ પીઆરપી છે શું

એ દિવસો ગયા જ્યારે ૫૦-૬૦ વર્ષની ઉંમરે વાળ ખરવાનું શરૂ થતું. આજકાલ તો વીસી અને ત્રીસીએ પહોંચેલા યુવાનોમાં પણ હેરલૉસની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. દેશના પાંચ લાખ પુરુષોનો સમાવેશ કરીને કરવામાં આવેલા એક સર્વેક્ષણના તારણ મુજબ હેરલૉસનો અનુભવ કરી રહેલા ૫૦.૩૧ ટકા લોકો ૨૫ વર્ષથી નાની ઉંમરના છે. એ સિવાય ૨૧ વર્ષથી નાની ઉંમરના ૨૫.૮૯ ટકા યુવાનો ઑલરેડી સ્ટેજ-થ્રી અથવા તો એનાથી પણ આગળના સ્ટેજ પર છે. હેરલૉસની સમસ્યા એવી છે કે એ વ્યક્તિના માનસ પર નકારાત્મક પ્રભાવ પાડે છે. વ્યક્તિ શરમનો અનુભવ, આત્મવિશ્વાસની ઊણપનો અનુભવ કરે છે જે તેમને ધીમે-ધીમે ડિપ્રેશન તરફ લઈ જાય છે. 

બિગ બૉસ હાઉસમાં રહીને અંકિતા જૈને ખરતા વાળની સમસ્યા માટે પીઆરપી હેર ટ્રીટમેન્ટ લીધેલી. કોઈ સેલિબ્રિટી આ ટ્રીટમેન્ટ લે છે એવા સમાચાર આવે એટલે સહજ કુતૂહલ થાય કે આ શું હશે? આજકાલ હેરલૉસની સમસ્યાના ઉકેલ તરીકે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ અવેલેબલ છે. આમાં પીઆરપી એ નૉન-સર્જિકલ ટ્રીટમેન્ટનો ઑપ્શન છે.

આ સિમ્પલ અને કૉસ્ટ ઇફેક્ટિવ હેરલૉસ માટેની ટ્રીટમેન્ટ છે. એમાં ઍક્ઝેક્ટલી શું કરવામાં આવે છે એની માહિતી આપતાં કન્સલ્ટન્ટ ડર્મેટોલૉજિસ્ટ ડૉ. પ્રિયલ ગાલા કહે છે, ‘આમાં દરદીનું જ લોહી વાપરાવામાં આવે છે. એ બ્લડને પ્રોસેસ કરીને એમાંથી પ્લેટલેટ રિચ પ્લાઝ્મા અલગ કરવામાં આવે અને એ રિચ પ્લાઝમાને જ્યાં વાળ ખરી રહ્યા હોય એ સ્કૅલ્પમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. પ્લેટલેટ્સમાં ગ્રોથ ફૅક્ટર હોય જે વાળના નૅચરલ ગ્રોથને ટ્રિગર કરે છે. એમ સમજી લો કે આ વાળ માટે એક ફર્ટિલાઇઝરનું કામ કરે છે. પીઆરપી તમારા વાળને ખરતા રોકે, નવા વાળ ઉગાડવામાં મદદ કરે, વાળને મજબૂત અને ઘેરા બનાવે. બૉલ્ડનેસ વારસાગત હોઈ શકે અથવા તો હૉર્મોનલ ચેન્જિસ, મેડિકલ કન્ડિશન્સ, એજિંગના ભાગરૂપે થઈ શકે. હેરલૉસ થવાનાં બીજાં પણ ઘણાં કારણો છે જેમ કે હેરગ્રોથ ડિસઑર્ડર, સ્ટ્રેસ, સ્કિન પ્રૉબ્લેમ,  ડાયટ, ઇન્ટરનલ ડિસીઝ વગેરે. આજકાલ તમે જોશો તો ૧૮ વર્ષની ઉંમરથી જ વાળ ખરવાનું શરૂ થઈ જાય છે અને ૩૦-૩૫ વર્ષ સુધીની એજમાં તો ટાલ ખૂબ વધી જાય છે.’

કઈ રીતે લેવાય?
પીરઆરપી ટ્રીટમેન્ટ વિશે સરળ ભાષામાં સમજાવતાં ડૉ. પ્રિયલ ગાલા કહે છે, ‘આ ટ્રીટમેન્ટમાં ડૉક્ટર તમને લોશન લગાવવાનું અને મેડિસિન લેવાનું કહે અને સાથે-સાથે પીઆરપી ટ્રીટમેન્ટ થાય. સેમ એ જ રીતે જે રીતે કારનું જે ફ્યુલ હોય એ તમારી મેડિસિન અને પીઆરપી છે એ ઍક્સેલરેટરનું કામ કરે. ઇનિશ્યલ ટ્રીટમેન્ટમાં એક મહિનામાં ચારથી પાંચ સેશન કરવામાં આવે છે. એક વાર સારું રિઝલ્ટ આવી જાય પછી એને મેઇન્ટેન કરવા માટે તમે દર ત્રણ કે છ મહિને પીઆરપી કરી શકો છો. તમારા હેરલૉસની ગ્રેડ અને હેરગ્રોથનું રિઝલ્ટ કેવું આવે છે એના હિસાબે એ પછી ડૉક્ટર ડિસાઇડ કરશે. પીઆરપી ટ્રીટમેન્ટ જિમમાં જઈને મસલ્સ બનાવવાની પ્રોસેસ જેવી છે. તમે જિમ જઈને વેઇટ ઉપાડશો તો જ મસલ્સ બિલ્ડ થશે. તમે જિમ છોડીને ઘરે બેઠા રહેશો તો એ મસલ્સ ટકવાના છે? નથી ટકવાના. બૉલ્ડનેસ એ નૅચરલ પ્રોસેસ છે. એટલે તમારા વાળ ખરવાના હશે તો ખરશે જ. તમે જે પણ મેડિસિન લેશો કે પીઆરપી ટ્રીટમેન્ટ કરશો તો એ વાળ ખરતા રોકી દેશે. જો તમે બધું જ બંધ કરી દેશો તો ટાલ પડવાની જે નૅચરલ પ્રોસેસ છે એ ફરી સ્ટાર્ટ થઈ જશે. એટલે હેર રિસ્ટોર થયા પછી પણ તમારે દર ચાર-છ મહિને મેઇન્ટેનન્સ ટ્રીટમેન્ટ ચાલુ જ રાખવી પડે.’

શું સેફ છે ટ્રીટમેન્ટ?
ઇનિશ્યલ સ્ટેજમાં વાળ ખરવાથી ટાલ જેવું પડતું હોય ત્યારે આ ટ્રીટમેન્ટ ઘણી અસરકારક છે, પણ એમાં સેફ્ટી કેટલી? એ સવાલનો જવાબ આપતાં ડૉ. પ્રિયલ ગાલા કહે છે, ‘પીઆરપી ટ્રીટમેન્ટ સેફ માનવામાં આવે છે, કારણ કે એમાં તમારું જ બ્લડ લઈને તમારા સ્કૅલ્પમાં ઇન્જેક્ટ કરવાનું છે. આમ તો આની કોઈ સાઇડ ઇફેક્ટ હોતી નથી. માઇલ્ડ ઇફેક્ટમાં કોઈને સ્કૅલ્પમાં થોડું પેઇન, રેડનેસ કે ટેમ્પરરી હેરશેડિંગ થઈ શકે. પીઆરપી કોઈ પણ એજના લોકો કરે છે, પણ વધતી ઉંમર સાથે એની એફિશિયન્સી ઘટતી જાય છે. જો તમારો હેરલૉસ અર્લી સ્ટેજમાં હોય તો પીઆરપીથી તમે બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો. વાળને ખરતા રોકવાની અને વૉલ્યુમ વધારવાની એક નૉન-ઑપરેટિવ અને વધુ નૅચરલ ટ્રીટમેન્ટ છે. જો તમારા હેરલૉસની ગ્રેડ સિક્સ્થ કે સેવન્થ ગ્રેડ પર હોય તો એમાં પીઆરપી થઈ શકે, પણ સૅટિસ્ફૅક્ટરી રિઝલ્ટ ન મળે.’ 

life and style fashion news fashion columnists