14 જૂને સુશાંતનો દરવાજો ખોલનાર ચાવીવાળાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

28 March, 2021 12:51 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

14 જૂને સુશાંતનો દરવાજો ખોલનાર ચાવીવાળાએ કર્યો ચોંકાવનારો ખુલાસો

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. તસવીર - પલ્લવ પાલીવાલ

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)એ આત્મહત્યા કર્યાને  બે મહિના થઈ ગયા છે. પરંતુ હજી સુધી ખુલાસો નથી થયો કે આ આત્મહત્યા જ હતી કે પછી હત્યા. હવે આ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહ્યું છે. આ દરમિયાન સુશાંતના મોત પછી તેના ઘરે પહોંચનાર મોહમ્મદ રફીક ચાવીવાળાનું નિવેદન સામે આવ્યું છે. સુશાંતના મોત પછી તેના ઘરે પહોંચનાર રફીક પહેલો બહારનો વ્યક્તિ હતો. એટલે રફીકને સૌથી મોટો સાક્ષી માનવામાં આવે છે. આજે CBIએ તેને પૂછપરછ માટે બોલાવ્યો હતો. પરંતુ ત્યારપછી માત્ર ફોન નંબર લઈને પાછો મોકલી દીધો હતો.

14 જૂનની ઘટનાને યાદ કરીને રફીકે જણાવ્યું હતું કે, તેમને બપોરે 1.05 ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને જણાવ્યું કે, તેમના ઘરનો દરવાજો લોક થઈ ગયો છે અને તેણે તાત્કાલિક તે ખોલવાનો છે. ત્યારે રફીકે પુછ્યું કે, લોક કેવું છે? નોર્મલ કે કોમ્પ્યૂટરરાઈઝ? ત્યારે ફોન પર સામેની વ્યક્તિએ કહ્યું કે, કોમ્પ્યૂટરરાઈઝ્ડ. આગળ રફીકે કહ્યું કે, આજે રવિવાર છે અને તેને દૂરથી આવવાનું છે એટલે તે લોક ખોલવા કે તોડવાના 2,000 રૂપિયા લેશે. ફોન કરનાર તુરંત માની ગયો અને તેને ઝડપથી આવવા કહ્યું. ફોન કરનારે માત્ર એટલું કહ્યું કે, રૂમમાં કોઈ ઉંઘી રહ્યું છે અને દરવાજો નથી ખુલતો.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂતના ગળા પર 33 સેમી ઉંડા નિશાન હતા, ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો

મોહમ્મદ રફીકે વધુમાં કહ્યું હતું કે, તે બે વાર સુશાંતના ઘરે ગયો હતો. પહેલીવાર લોક તોડવા બોલાવ્યો હતો અને બીજી વાર પોલીસ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. જ્યારે તે બીજી વાર પહોંચ્યો ત્યારે તેને ખબર પડી કે તેને બોલાવનાર વ્યક્તિનું નામ સિદ્ધાર્થ પિઠાણી છે. પહેલીવાર તે 1.30 વાગ્યે સુશાંતના ઘરે ગયો હતો અને અંદાજે 10 મિનિટ ત્યાં રોકાયો હતો. તેણે જણાવ્યું કે, તે જ્યારે પહેલીવાર સુશાંતના ઘરે ગયો ત્યારે ત્યાં ત્રણ-ચાર લોકો હતા. પરંતુ કોઈના પણ ચહેરા પર તણાવ નહતો. દરેક લોકો રિલેક્સ દેખાતા હતા. રફીકે પહેલા સુશાંતના રૂમની ચાવી બનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમાં ટાઈમ લાગતો હતો. આ દરમિયાન ઘરના કોઈ વ્યક્તિએ તેને લોક તોડવા કહ્યું. ત્યારપછી અંદાજે બે-ત્રણ મિનિટમાં રફીકે દરવાજાનું લોક તોડી નાખ્યું હતું. તે દરવાજો ખોલવા જતો હતો પરંતુ પાછળથી કોઈએ તેને રોક્યો અને પોતાના સાધનો લઈને જવા કહ્યું. ત્યારપછી સિદ્ધાર્થે તેને 2,000 રૂપિયા કાઢીને આપ્યા હતા. કામ પતી ગયા પછી રફીક ત્યાંથી પોતાની બેગ લઈને નીકળી ગયો હતો.

પરંતુ રફીક ઘરે પહોંચ્યો તેના લગભગ એક કલાક બાદ એક પોલીસનો ફોન આવ્યો હતો અને તેમણે તેને ફરી બાંદ્રાવાળા ફ્લેટ પર પૂછપરછ માટે બોલાવ્યો હતો.. આ વખતે રફીક ત્યાં પહોંચ્યો ત્યારે તો ઘરની બહાર ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. ભીડમાંથી પસાર થઈને તે અંદર ગયો તો તેને રૂમમાં સુશાંતની એક મોટી તસ્વીર નજરે પડી હતી. તે જોતાજ તેને ખબર પડી કે આ ફ્લેટ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો છે. ત્યારબાદ તે ઘણીવાર સુધી ડુપ્લેક્ષ ફ્લેટના નીચેના ભાગમાં ઉભો રહ્યો હતો. રફીકે જણાવ્યું કે, સિદ્ધાર્થે તેનો નંબર ઓનલાઈન લીધો હતો.

 આ પણ વાંચો: SSR કેસ: ઓટોપ્સીની ફાઈલોની તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવાઈ

રફીકે વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે તેને સુશાંતના મોત વિશે ખબર પડી તો તે હેરાન-પરેશાન થઈ ગયો હતો. તે સુશાંતનો ફૅન રહ્યો છે અને તેણે લગભગ બધી જ ફિલ્મો જોઈ છે. રફીકે વધુમાં જણાવ્યું હતું કે, બીજી વખત તે જ્યારે ગયો હતો ત્યારે પોલીસ ઉપરના રૂમમાં તપાસ કરી રહી હતી અને તે નીચે ઉભા રહીને તેની રાહ જોઈ રહ્યો હતો. પરંતુ, પોલીસે તેને શું સવાલ પૂછ્યા તે બાબતે કોઈ ટિપ્પણી કરવાનો તેને ઇન્કાર કરી દીધો હતો.

મોહમ્મદ રફીકે ઈચ્છે છે કે, આ કેસનું સત્ય જલ્દી જ સામે આવી જાય અને તે માટે તે CBIને પૂરો સહયોગ કરશે.

entertainment news bollywood bollywood news sushant singh rajput central bureau of investigation mumbai police bandra