13 January, 2023 03:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભૂષણ કુમાર
‘શહઝાદા’ના ગઈ કાલે ટ્રેલર-લૉન્ચ વખતે એ ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ ફિલ્મ ‘ભૂલભુલૈયા 2’નો રેકૉર્ડ તોડશે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન, ક્રિતી સૅનન, પરેશ રાવલ, મનીષા કોઇરાલા અને રૉનિત રૉય પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મ ૨૦૨૦માં આવેલી અલ્લુ અર્જુનની ‘અલા વૈકુંઠપુરમલો’ની હિન્દી રીમેક છે. આ ફિલ્મને કાર્તિકની સાથે ભૂષણ કુમાર, અલ્લુ અરવિંદ, એસ. રાધાક્રિષ્ના અને અમન ગિલે પ્રોડ્યુસ કરી છે. ગેઇટી-ગૅલેક્સીમાં ટ્રેલર-લૉન્ચ બાદ પૂછવામાં આવ્યું હતું કે શું ‘ભૂલભુલૈયા 2’નો પણ આ ફિલ્મ રેકૉર્ડ તોડશે? તો એનો જવાબ આપતાં ભૂષણ કુમારે કહ્યું કે ‘અમારી ‘શહઝાદા’ રેકૉર્ડ તોડશે. આ ‘ભૂલભુલૈયા 2’ કરતાં પણ મોટી ફૅમિલી મનોરંજક ફિલ્મ છે.
‘દૃશ્યમ 2’ને મળેલી સફળતાના અમે આભારી છીએ કે અમને એહસાસ થયો કે લોકોને પારિવારિક મનોરંજક ફિલ્મો વધુ પસંદ છે. ‘શહઝાદા’માં ફૅમિલી, કૉમેડી, ઍક્શન અને એવી અનેક વસ્તુઓ છે. એથી મને લાગે છે કે ‘શહઝાદા’ ‘ભૂલભુલૈયા 2’ના રેકૉર્ડને બ્રેક કરશે.’
એ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો કાર્તિકે કહ્યું કે ‘ફિંગર્સ ક્રૉસ્ડ. આશા છે કે ‘શહઝાદા’ સારો બિઝનેસ કરશે. ઇન્ડસ્ટ્રીને એની જરૂર પણ છે. આ એક મેસી ફૅમિલી એન્ટરટેઇનર ફિલ્મ છે. તમે તમારી ફૅમિલી કે પછી ગ્રુપ સાથે બેસીને ફિલ્મ જોઈ શકો છો. આશા છે કે તમે અલગ-અલગ લોકો સાથે આ ફિલ્મ જોવા જાઓ.’