હું ભારતીય મીડિયા સહિત તમામ ભારતીય ક્રિકેટપ્રેમીઓને વિનંતી કરું છું કે સિરીઝને ધી તેન્ડુલકર-ઍન્ડરસન ટ્રોફી કહે

25 June, 2025 06:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેમ્સ ઍન્ડરસન પહેલાં સચિન તેન્ડુલકરનું નામ હોવું જોઈએ એવી વકીલાત કરી લિટલ માસ્ટરે

સુનીલ ગાવસકર

ભારત અને ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે હાલમાં બન્ને દેશ વચ્ચેની ટેસ્ટ-સિરીઝને પટૌડી ટ્રોફીના સ્થાને ધી ઍન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી તરીકે નવું નામ આપ્યું છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરે હાલમાં ‘મિડ-ડે’ની કૉલમમાં આ વિશે વાંધો ઉઠાવતાં લખ્યું કે ‘ભારતીય ક્રિકેટપ્રેમીઓ માટે એ જાણીને દુઃખ થાય છે કે ઍન્ડરસનનું નામ પહેલા આવે છે. સચિન તેન્ડુલકર ન માત્ર મહાન ભારતીય ક્રિકેટર છે, પણ ઍન્ડરસનથી એક ડઝન વર્ષથી વધુ સિનિયર પણ છે.’

સુનીલ ગાવસકરે આગળ લખ્યું કે ‘ટેસ્ટ-ક્રિકેટમાં રન અને સદીની વાત કરીએ તો તેન્ડુલકર નંબર વન છે, પણ વન-ડે સ્તરે પણ તેની પાસે બીજા કોઈ કરતા વધુ રન છે. ટેસ્ટ-ક્રિકેટમાં વિકેટ લેનારા બોલરોની યાદીમાં ઍન્ડરસન ત્રીજા ક્રમે છે અને વન-ડે ક્રિકેટમાં તેનો રેકૉર્ડ તેન્ડુલકર જેટલો સારો નથી. તેન્ડુલકર પણ વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ છે, જ્યારે ઍન્ડરસન આવી ટીમનો ભાગ રહ્યો નથી. ઍન્ડરસન એક શાનદાર બોલર હતો, પરંતુ મુખ્યત્વે બ્રિટનની પરિસ્થિતિઓમાં અને તેનો રેકૉર્ડ તેન્ડુલકર જેટલો સારો નથી. એથી બધી રીતે તેન્ડુલકરનું નામ પહેલા આવવું જોઈએ.’

૭૫ વર્ષના ગાવસકરે આગળ લખ્યું, ‘આ દલીલ કે તેઓ મૂળાક્ષરોના અક્ષરો દ્વારા આગળ વધી રહ્યા છે જ્યાં A અક્ષર T પહેલાં આવે છે, એ ખૂબ જ નકામું છે, કારણ કે તેન્ડુલકરે જે કર્યું અને પ્રાપ્ત કર્યું છે તેનું અને ઍન્ડરસનના પ્રદર્શન વચ્ચે કોઈ સરખામણી નથી. કૃપા કરીને ગેરસમજ ન કરો, ઍન્ડરસન માટે ખૂબ આદર છે, પરંતુ એક ભારતીય તરીકે મારા માટે તેન્ડુલકર હંમેશાં તેનાથી ઉપર રહેશે. હું ભારતીય મીડિયા સહિત તમામ ભારતીય ક્રિકેટપ્રેમીઓને પણ વિનંતી કરું છું કે સિરીઝને ધી તેન્ડુલકર-ઍન્ડરસન ટ્રોફી કહે.’

તેમણે એ પણ સૂચન કર્યું કે પટૌડી મેડલ સિરીઝના વિજેતા કૅપ્ટનના સ્થાને દરેક ટેસ્ટ-મૅચના પ્લેયર ઑફ ધ મૅચને મળવો જોઈએ, કારણ કે સિરીઝ ડ્રૉ થવાના કિસ્સામાં મેડલના વિજેતા વિશે નિર્ણય લઈ શકાશે નહીં.

sunil gavaskar sachin tendulkar india england news cricket news sports news sports board of control for cricket in india james anderson