07 March, 2025 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એસ. શ્રીસાન્ત
ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર એસ. શ્રીસાન્તે ભારતીય ટીમ અને ૨૦૨૮ની ઑલિમ્પિક્સને લઈને મોટી વાત કરી છે. તે કહે છે, ‘સામે કોઈ પણ હોય, ભારત ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ જીતશે. ટીમની સૌથી સારી વાત એ છે કે તેઓ ખૂબ જ નમ્ર છે અને તેઓ એકબીજાને સહયોગ કરે છે. આપણે મેદાન પર ભાઈચારો જોઈ શકીએ છીએ. મને લાગે છે કે એ ટીમની તાકાત છે.’
ભારતના સ્ટાર બૅટર વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે વાત કરતાં શ્રીસાન્ત કહે છે, ‘દરેક વ્યક્તિ વિરાટ-રોહિતની નિવૃત્તિ વિશે વાત કરી રહી છે. કૃપા કરીને તેમને રમવા દો. આપણે ઑલિમ્પિક્સ જીતવા જઈ રહ્યા છીએ, કારણ કે ઑલિમ્પિયન વિરાટ અને ઑલિમ્પિયન રોહિત દેશ માટે ગોલ્ડ મેડલ જીતે એનાથી વધુ સારું કંઈ જ નહીં હોઈ શકે.’
જોકે ૨૦૨૮ની લૉસ ઍન્જલ્સ ઑલિમ્પિક્સમાં T20 ક્રિકેટનો સમાવેશ થશે. ક્રિકેટના મોટા ચહેરા વિરાટ-રોહિત એમાં નહીં હોય, કારણ કે તેઓ ૨૦૨૪ના T20 વર્લ્ડ કપ બાદ T20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યા છે.