25 March, 2021 12:02 PM IST | Pune | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયર
મંગળવારે રમાયેલી પહેલી મૅચ દરમ્યાન ડાબા ખભાનું હાડકું ખસી જવાથી ભારતીય બૅટ્સમૅન શ્રેયસ ઐયર ઇંગ્લૅન્ડ સામેની વન-ડે સિરીઝમાંથી બહાર થઈ ગયો છે તેમ જ આવતા મહિનાથી શરૂ થનારી આઇપીએલના પહેલા તબક્કામાં કદાચ નહીં રમી શકે. આઠમી ઓવરમાં ઇંગ્લૅન્ડની ઇનિંગ્સ દરમ્યાન શાર્દુલ ઠાકુરની બોલિંગમાં જૉની બેરસ્ટોએ શૉટ ફટકાર્યો હતો. બૉલને બાઉન્ડ્રી તરફ જતો અટકાવવા શ્રેયસે ડાઇવ મારી હતી જેમાં તેને ખભામાં ઈજા થઈ હતી.
ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે તે આઇપીએલના પહેલા તબક્કામાં નહીં રમી શકે. તેની ઈજાની વધુ તપાસ કરાઈ રહી છે.’
શ્રેયસ આઇપીએલમાં દિલ્હીની ટીમનો કૅપ્ટન છે. મુંબઈના આ ખેલાડીએ બૅટિંગ દરમ્યાન માત્ર ૬ રન બનાવ્યા હતા. ખભો ખસી જવાથી તેને છ સપ્તાહનો આરામ કરવો પડશે. વળી જો સર્જરી થઈ તો વધુ સમય પણ લાગી શકે. તેની ગેરહાજરીમાં દિલ્હીની કૅપ્ટન્સી રિષભ પંત, ઑસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ અથવા ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિનને સોંપવામાં આવી શકે.