07 September, 2025 09:32 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શ્રેયસ અય્યર
ઇન્ડીયન પ્રીમિયર લીગ ફ્રેન્ચાઈઝી પંજાબ કિંગ્સના કેપ્ટન તેમ જ ભારતીય બોલર શ્રેયસ અય્યરનો એક ભાવુક વિડીયો (Shreyas Iyer Appeal) સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં તે પંજાબમાં પૂરથી પ્રભાવિતોની મદદ માટે લોકોને અપીલ કરી રહ્યો છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદને કારણે સતલજ, બિયાસ અને રાવી નદીઓનું જલસ્તર વધી જતાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
પંજાબની હાલત કફોડી
તમને જણાવી દઈએ કે પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી અતિભારે વરસાદ થઇ રહ્યો છે. જેને કારણે ત્યાનું જનજીવન ખોરવાઈ ગયું છે. અત્યાર સુધીમાં ૪૩ લોકોના મોત થયા છે. આર્થિક નુકસાન પણ મોટા પ્રમાણમાં થયું છે. ૧,૯૦૦થી વધુ ગામો પ્રભાવિત થયાં છે. ખેડૂતોને પણ ભારે નુકસાન થયું છે. પંજાબના કુલ ૨૩ જિલ્લાઓમાં તો સ્થિતિ વકરી ગઈ છે. લગભગ ૩.૮૪ લાખ લોકો કોઈ ને કોઈ રીતે આ પૂરની આપત્તિથી પ્રભાવિત થયા છે. તમને જણાવી દઈએ કે હાલ પંજાબમાં હજારો ગામડાંઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આશરે ૬૧,૦૦૦ હેક્ટર ખેતીની જમીન પર પાણી ફરી વળ્યાં છે. જેના કારણે લગભગ ૧.૪૬ મિલિયન રહેવાસીઓનું જીવન ખોરવાયું છે. પંજાબમાં કુદરતે આવો કાળો કેર વર્તાવ્યો હોઈ શ્રેયસ અય્યરે એક વિડીયોના (Shreyas Iyer Appeal) મારફતે લોકોને અહીં રાહત કાર્યમાં આર્થિક મદદ કરવાની અપીલ કરી છે.
શું કહ્યું શ્રેયસે?
વિડીયોમાં શ્રેયસ ગળગળો થઇ જતાં કહે છે કે- પંજાબે મને જે પ્રેમ આપ્યો છે તે મારું સૌથી મોટું બળ છે. આજે પૂરને કારણે અહીં જે મુશ્કેલી આવી ચડી છે. પરંતુ આપણે જલ્દીથી ભેગા મળીને આ સંકટમાંથી ઉગરી જઈશું. તમારું નાનું યોગદાન પણ કોઈની માટે આશાનું કિરણ (Shreyas Iyer Appeal) બની શકે છે. ચાલો આપણે બધા સાથે મળીને પંજાબને ફરી હસતું કરીએ.
આઇપીએલ ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સે પહેલ કરી
આઇપીએલ ફ્રેન્ચાઇઝી પંજાબ કિંગ્સે પંજાબમાં આવેલા પૂરથી પ્રભાવિત થયેલા લોકોને મદદ કરવા માટે ગ્લોબલ શીખ ચેરિટી સાથે પાર્ટનરશિપમાં ભંડોળ ઊભું કરવાની પહેલ કરી છે. આ અભિયાન (Shreyas Iyer Appeal) હેઠળ ફ્રેન્ચાઇઝીએ જનતા પાસેથી 2 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. પંજાબ કિંગ્સે પોતે 33.8 લાખ રૂપિયાનું ભંડોળ તો આપ્યું જ છે. આ રકમમાંથી બચાવ નૌકાઓ, તબીબી સહાય, જરૂરી રાહત સામગ્રી અને પીવાના સ્વચ્છ પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બચાવ નૌકાઓનો ઉપયોગ માત્ર વર્તમાન આપત્તિ પરિસ્થિતિમાં જ નહીં પરંતુ ભવિષ્યમાં કોઈપણ આપત્તિ વ્યવસ્થાપન દરમિયાન પણ કરવામાં આવશે.
એશિયા કપ ૨૦૨૫ માટે ભારતીય ટીમમાં સ્થાન ગુમાવનાર શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા-એ સામેની બે-ચાર દિવસીય મેચો માટે ભારત-એ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.