31 March, 2026 03:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બ્રિટિશ નાગરિક ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડ હોટેલની રુમમાં ફ્લોર પર પડ્યા હતા
ઇન્ડિયન પ્રિમિયર લીગ (Indian Premier League - IPL)ની ૧૯મી સિઝનની ધમાકેદાર શરુઆત થઈ ગઈ છે. આઇપીએલ ૨૦૨૬ (IPL 2026)ના રોમાંચ વચ્ચે એક દુઃખદ સમાચાર આવ્યા છે. IPL મેચો માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India – BCCI) સાથે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા એક બ્રિટિશ નાગરિકનું અવસાન થયું છે. મુંબઈ (Mumbai)ની એક હોટેલમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે.
મુંબઈના નરીમન પોઈન્ટ (Nariman Point) પર આવેલી ટ્રાઇડેન્ટ હોટેલ (Trident Hotel)માં બીસીસીઆઈ (BCCI) સાથે આઈપીએલ મેચો માટે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા એક બ્રિટિશ નાગરિક મૃત હાલતમાં મળી આવ્યા હતા. મૃતકની ઓળખ ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડ (Ian Williams Langford) તરીકે થઈ છે. તેઓ મુંબઈની ટ્રાઇડેન્ટ હોટેલમાં તેના રૂમમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
૨૪ માર્ચથી IPL કવર કરવા માટે ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડ મુંબઈની ટ્રાઇડેન્ટ હોટેલ હોટેલમાં રોકાયા હતા.
૨૯ માર્ચે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians - MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders - KKR) વચ્ચેની મેચ સમાપ્ત થયા પછી ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડ ટ્રાઇડેન્ટ હોટેલમાં આવેલ તેમના રૂમમાં, જેનો નંબર ૨૭૧૫ તેમાં પાછા ફર્યા હતા અને ૩૦ માર્ચે તે મૃત હાલતમાં મળી આવ્યા હતા.
૩૦ માર્ચે, જ્યારે હોટેલ ટ્રાઇડેન્ટના રિસેપ્શનિસ્ટે ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડના રૂમમાં ફોન કર્યો ત્યારે તેમને કોઈ જવાબ મળ્યો નહીં. પરિણામે, હોટેલ સ્ટાફને રૂમની તપાસ કરવા મોકલવામાં આવ્યા. સ્ટાફે ઇયાનના રુમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ તેમને ઘણા સમય સુધી કોઈ જબાન મળ્યો. જ્યારે તેમને કોઈ જવાબ ન મળ્યો, ત્યારે તેઓએ માસ્ટર કીનો ઉપયોગ કરીને દરવાજો ખોલ્યો અને અંદર જે જોયું તેનાથી તેમની આંખો ચોંકી ગઈ. ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડ જમીન પર પડેલા હતા. હોટેલના ડૉક્ટર આવ્યા અને તાત્કાલિક ઇયાનની તપાસ કરી. તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
ઇયાન વિલિયમ્સ લેંગફોર્ડના મૃત્યુ અંગેનો રિપોર્ટ મુંબઈના મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન (Marine Drive Police Station)માં નોંધવામાં આવ્યો હતો. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે. હાલમાં તેમનું મૃત્યુ કેવી રીતે થયું અને તેમની સાથે રૂમમાં શું બન્યું તે નક્કી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અત્યારે, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના પછી મૃત્યુનું વાસ્તવિક કારણ સ્પષ્ટ થશે.
પોલીસ સૂત્રોએ પુષ્ટિ આપી છે કે પ્રારંભિક તપાસમાં કંઈ અજુગતું લાગતું નથી.
આ મામલે મુંબઈ પોલીસ (Mumbai Police) દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.